પણજી : ગોવામાં હાલમાં બે સગીરા સાથે દુષ્કર્મની ઘટના (Goa Minor Rape Case) બની છે.આ મામલાને લઈ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતએ બુધવારે વિધાનસભામાં પ્રતિક્રિયા આપી.તેમણે કહ્યું કે, માતા-પિતાને એ વાત પર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે કે તેમના બાળકો અંધારું થયા બાદ રાત્રે દરિયાકાંઠે કેમ ફરે છે.
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત બુધવારે વિધાનસભામાં વિપક્ષી પાર્ટીના ધારાસભ્યો તરફથી તેમની પર લગાવવામાં આવેલા આરોપોના જવાબ આપી રહ્યા હતા.ધારસભ્યોએ 24 જુલાઈની રાત્રે દક્ષિણ ગોવાના પ્રચલિત કોલવા બીચ પર બે સગીરા સાથે કથિત રીતે દુષ્કર્મની ઘટના બાદ ગોવામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થવાનો આરોપ લગાવ્યો હતો.
CM પ્રમોદ સાવંતે કહ્યું કે, 10 બાળકો બીચ પર પાર્ટી કરવા જાય છે. 10માંથી 6 ઘરે પરત આવી જાય છે.બાકી વધ્યા બે છોકરા અને બે છોકરીઓ,જેઓ આખી રાત બીચ પર જ રોકાય છે.જ્યારે 14 વર્ષની કિશોરી બીચ પર રાત પસાર કરે છે તો માતા-પિતાને પણ આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.તેમણે પણ તેનું ધ્યાન રાખવું જોઈએ.
તેમણે એવું પણ કહ્યું કે, આ આપણી પણ જવાબદારી છે,કારણે કે બાળકો પોતાના માતા-પિતાનું માનતા નથી તો અમે તમામ જવાબદારી પોલીસ પર ન નાખી શકીએ.વિપક્ષે મુખ્યમંત્રીના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે.પૂર્વ નાયબ મુખ્યમંત્રી વિજય સરદેસાઈએ કહ્યું કે, ગોવા એવી બ્રાન્ડ ઇમેજ છે કે અહીં કોઈ પણ મોડી રાત સુધી સુરક્ષિત અનુભવીને ફરી શકે છે.
નોંધનીય છે કે, બે સગીરા સાથે દુષ્કર્મના મામલામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે.તેમના નામ આસિફ હતેલી,રાજેશ માણે,ગજાનંદ ચિનચિંકર અને નિતિન યબ્બલ છે.