બારડોલી : અમદાવાદથી મુંબઈ સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેકટ ભલે શરૂ થઈ ગયો છે.પરંતુ કામગીરીની સ્પીડ બુલેટ ટ્રેન જેવી થઈ નથી.ટ્રેનના ટ્રેકને લઈ ગુજરાતમાં જમીન સંપાદનના મામલે હજુ પણ અવરોધ જોવા મળી રહ્યો છે.દ.ગુજરાતના ખેડૂતો જમીન સંપાદનની પ્રક્રિયાને લઈ ખુશ નથી.
દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ પ્રોજેકટમાં પૈસાનું રોકાણ કરતી જાપાની કંપની જાયકા ઉપર દબાણ લાવવા માટે જાપાનની કોર્ટમાં કેસ દાખલ કરવાની તૈયારી બતાવી છે.જોકે આ વાતને લઈ સુપ્રીમ કોર્ટમાં ગ્રોસ વોયલેશન ઓફ લેન્ડ એક્રીજેશન ઉપર અરજી પણ પહેલાથી દાખલ છે.જેની સુનાવણી ચાલુ છે.એમ તો અમદાવાદથી મુંબઈ સુધીના 500 કી.મી ના બુલેટ ટ્રેન પ્રોજેકટમાં સુરત અને મહારાષ્ટ્રના થાણામાં બનવા જઇ રહેલા ડેપોની ટેન્ડર પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે.સાથો સાથ ટ્રેકમાં આવનાર અડચણોને દૂર કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર જમીન સંપાદનનો મામલો પૂર્ણ થયો છે.પરંતુ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજનો દાવો કર્યો છે કે જમીન સંપાદનની કામગીરી 40 ટકા જ પૂર્ણ થઈ છે.
જોકે એન.એચ.એસ.આર.સીના સૂત્રોએ જણાવ્યુ હતું કે આટલો મોટો પ્રોજેકટ પર્યાવરણ અને સામાજિક અસરનો અભ્યાસ કરીને તૈયાર કરવામાં આવ્યો છે. જેની જાણકારી વેબસાઇટ ઉપર તમામ ભાષામાં ઉપલબ્ધછે.
જમીન સંપાદન મામલે ખેડૂતોના પ્રશ્નો
એન.એચ.એસ.આર.સી ની જમીન સંપાદન નીતિમાં ગુજરાત અને મહારાષ્ટ્ર માટે નિયમ અલગ અલગ છે. પરંતુ કેન્દ્રની નીતિ સમાન હોવી જોઈએ આર્ટીકલ-64 મુજબ આપવામાં આવી રહેલ વળતર પૂરતું અને વ્યાજબી નથી.સુરત જિલ્લામાં તો ઠીક પરંતુ અંતરિયાળ વિસ્તારમાં સરકારી જંત્રીથી હાસ્યાસ્પદ રીતે એટલું ઓછું વળતર છે કે ખેડૂતોએ મારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.ઓછું વળતર આપી આવનારી પેઢીની આજીવિકા છીનવી રહ્યા છે.જ્યારે ઉદ્યોગપતિઑને સોનાની લગાડી જેવી જમીનો પાણીના ભાવે આપવામાં આવે છે તો ખેડૂતોને કેમ નહીં? પશ્ચિમ રેલ્વેની પાસે તેમની ટ્રેડ કોરિડોરની ઘણી જગ્યા છે.તેની ઉપર ટ્રેક બનાવે. ખેતર બે ભાગમાં વહેંચાય જવાથી વચ્ચે બુલેટ ટ્રેનનો ટ્રેક આવવાથી ખેડૂતોને નુકશાન તો છે જ ઘણા કિલોમીટર ફેરાવો કરી જવું પડશે.
જાપાનની કોર્ટમાં અમે આ પ્રોજેકટને પડકારશું
બુલેટ ટ્રેનનો વિરોધ નથી જાપાનની કોર્ટમાં જાયકા કંપનીને અમે પડકારશું નિયમ અનુસાર પર્યાવરણ અને સામાજિક અસરનો અભ્યાસ કર્યા વગર વળતર કેવી રીતે ચૂકવી શકે ? કાયદા મુજબ બંને રાજયોના 80 ટકા અસરગ્રસ્તો સંમત હોય અને જમીનના બદલામાં જમીન આપવી જોઈએ.
રેમશભાઈ પટેલ (ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ)


