સુરત : તા.22 જુન 2022,બુધવાર : સુરતના સલાબતપુરા બેગમવાડી સ્થિત હરિઓમ માર્કેટ 3 ની દુકાન તેના માલિકે પાલનપુર પાટીયાના જમીન દલાલને વેચ્યાના એક વર્ષ બાદ અઠવાલાઈન્સની મહિલાને પણ વેચી ઠગાઈ કરતા સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના રાંદેર પાલનપુર પાટીયા ગુજરાત હાઉસીંગ બોર્ડ ઘર નં.73/631 ના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા 50 વર્ષીય હરેશભાઇ ગુરૂમુખદાસ નેભનાણી જમીન લે વેચનું કામ કરે છે.વર્ષ 2019 ની શરૂઆતમાં પરિચિત દેવાનંદ સંતકુમાર બચ્ચાણી(ઉ.વ.42,રહે.ઘર.નં.7/6,સિંધુ વાડી પાસે,રામનગર કોલોની,રાંદેર રોડ,સુરત)એ હરેશભાઈને સલાબતપુરા બેગમવાડી સ્થિત હરિઓમ માર્કેટ 3 શુભ તેજસ કોર્પોરેશનમાં આવેલી દુકાન તેમને તેમ કહીને વેચી હતી કે મારે પૈસાની બહુ જરુર છે.જો તમે તેને ખરીદશો તો ભાડાની સારી આવક થશે.આથી હરેશભાઇએ તેને રૂ.10 લાખમાં ખરીદતા 2 ફેબ્રુઆરી 2019 ના રોજ કબજા સહિતનો વેચાણ કરાર પણ કરી આપ્યો હતો.
જોકે,દેવાનંદભાઈએ ત્યાંના ભાડુઆત સાથે આઠ મહિના બાદ નવો ભાડા કરાર કરી ત્યાર બાદ ભાડું લેવા કહેતા હરેશભાઈ તે સમયગાળા બાદ ભાડું લેવા ગયા ત્યારે જાણ થઈ હતી કે તે જ દુકાન દેવાનંદભાઈએ 14 ફેબ્રુઆરી 2020 ના રોજ અઠવાલાઈન્સ નર્મદ નગર ઘર નં.12 માં રહેતા પૂનમબેન દિનેશભાઇ છાબડાના નામે વેચાણખત લખી આપી તેમને પણ વેચી છે.પોતાની સાથે થયેલી ઠગાઈ અંગે હરેશભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

