સંકટગ્રસ્ત યેસ બેન્કની મદદે ભારતીય સ્ટેટ બેન્ક આવી ગઈ છે. નાણામંત્રીએ ખુદે બેન્કના ખાતેદારોને ‘સબ સલામત’ની ખાતરી આપી છે પરંતુ ખાનગી બેન્કો પ્રત્યે દેશના કરોડો લોકોના ડગમગી ઊઠેલા વિશ્વાસની ભરપાઈ થતા સમય લાગશે. બેન્કોમાંથી મોટાં માથાઓ કરોડોની લોન કેવી રીતે મેળવી લે અને આવા સોફિસ્ટિકેટેડ લૂંટારા બેન્કોને ચૂનો લગાડી ભાગી જાય ત્યારે કોમનમેનને બેન્કિંગ સિસ્ટમ સામે શંકા જાય એ સ્વાભાવિક છે.
સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયામાં વીલફુલ ડિફોલ્ટર્સ એટલે કે છતી સંપત્તિ અને ચાલુ વ્યવસાય છતાં લોન ન ભરતા હોય તેવી બેડ લોનની રકમ ૪૬,૧૫૮ કરોડ છે. જ્યારે પંજાબ નેશનલ બેન્કના ૨૫,૦૯૦ કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયાના ૯,૮૯૦ કરોડ ડૂબેલા છે. રાજ્યો સંચાલિત બેન્કોમાં આ આંકડો ૬૩,૮૨૦ કરોડ છે. પબ્લિક સેક્ટર બેન્કોએ આવા કિસ્સામાં ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળાં મારતા હોય તેમ ૧,૪૭૫ પોલીસ કમ્પ્લેઈન કરી છે, પરંતુ માલ્યા, મોદી, ચોકસી જેવા ડિફોલ્ટર સુધી તેમના હાથ પહોંચી શક્યા નથી.
ભારતમાં બેન્કોનાં ઉઠમણાંનો ઇતિહાસ દોઢસો વર્ષ જૂનો છે. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ ૧૮૪૦માં ભારતમાં સ્થાપેલી પ્રેસિડેન્સી બેન્ક ઓફ બોમ્બે (પીબીબી) ૨૦ વર્ષ તો બરાબર ચાલેલી પરંતુ ૧૮૬૦માં તેણે એ જ કર્યું છે જે આજે બેન્કો કરી રહી છે. એ સમયે ઇંગ્લેન્ડનો મોટો આધાર બોમ્બે કોટન માર્કેટ ઉપર હતો. સિવિલ વોરના કારણે અમેરિકામાંથી આવકો બંધ થઈ ગયેલી. ભારતમાં કોટન માર્કેટમાં આ ફૂલગુલાબી તેજીમાં અનેક કંપનીઓ ફૂટી નીકળી, પીબીબીએ આ સમયે શેર અને પર્સનલ સિક્યોરિટીના બદલામાં અંધાધૂંધ ધિરાણ આપ્યું. સિવિલ વોર ખત્મ થતાં તેજીનો માહોલ ચાર દિવસની ચાંદનીની જેમ પૂરો થઈ ગયો. ધિરાણ લેનાર પેઢીઓ ઊઠવા માંડી ને બેન્કને તાળાં લાગી ગયાં. એ પછી ૧૮૬૮માં બેન્ક ઓફ બોમ્બેની સ્થાપના થઈ.
ભારતીય બેન્કોના ઇતિહાસમાં ૧૮૬૦ પૂર્વે પણ કોલકાતામાં કેટલાંક ધિરાણ સમૂહો ફડચામાં ગયેલાં. પણ પીબીબી ઊઠયા પછી બ્રિટિશર્સ એલર્ટ થયા ને તેમણે બેન્કિંગ નિયમન માટે કડક નિયમો બનાવ્યા.
આઝાદી પૂર્વેના ચાર-પાંચ દાયકામાં બેન્કિંગ સેક્ટર ઉપર પણ સ્વદેશીની અસર જોવા મળેલી. ૧૯૧૩ સુધી દેશમાં ૪૫૧ બેન્કિંગ કંપની હોવાનું બખ્તિયાર દાદાભોયના બરોન્સ ઓફ બેન્કિંગમાં નોંધાયેલું છે. ઈન્ડિયન સ્પેસી બેન્કે મોતીના સોદાગરોને લાંબા ગાળાનાં ધિરાણ કરેલાં, આ સોદાગરો ડૂબ્યા અને બેન્ક પણ ડૂબી ગઈ. પીપલ્સ બેન્ક ઓફ ઈન્ડિયા પણ આ જ ગાળામાં ઊઠી ગઈ.
૧૯૧૦માં સૌથી વધુ પંજાબમાં બેન્કોને તાળાં લાગ્યાં. ૧૯૧૩-૧૪માં બંધ થયેલી ૫૪માંથી ૨૮ બેન્ક પંજાબમાં હતી, જ્યારે ૧૧ મુંબઈમાં હતી. એ પછી બેન્ક ઉઠમણાની દિશા દક્ષિણ ભારત અને પશ્ચિમ બંગાળ તરફ ફંટાઈ. ૧૯૬૬ સુધીમાં ૧૮૦૦ બેન્કો ફેઈલ થઈ જેમાં ૨૫% કેરળ, ૨૧% પશ્ચિમ બંગાળ અને ૨૦% મદ્રાસમાં હતી.
૧૯૩૪ સુધીમાં હિન્દુસ્તાનમાં ૩૫૦ બેન્કોને તાળાં લાગેલાં. એ પછી બેન્કિંગ ક્ષેત્રે ઘણાં મંથનો બાદ ભારતને તેની પ્રથમ સેન્ટ્રલ બેન્ક મળી. રિઝર્વ બેન્કની સ્થાપનાને ૮૫ વર્ષ થવા જાય છે ત્યારે બેન્કો ઉપર અનેક અંકુશો, નિયમો અને માર્ગર્દિશકા હોવા છતાં બેન્ક સ્કેમ થતા રહે છે. મગરમચ્છો બચી જાય છે ને નાના ખાતેદારો માછલીની જેમ જાળમાં ફસાતા રહે છે.
૧૯૩૮માં ત્રાવણકોર અને ક્વિલોન બેન્ક કાચી પડયા બાદ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ બન્યો અને લાઈસન્સથી લઈ પારદર્શિતા સુધીના વધુ કડક નિયમો બન્યા. એ પછી આજે પણ બેન્ક સ્કેમ સર્જાય ત્યારે રિઝર્વ બેન્ક નવા નિયમો બનાવે છે પરંતુ બેન્કો પ્રત્યે નાના ખાતેદારોનો વિશ્વાસ ડગી જાય તેવી ઘટનાઓ સમયાંતરે સર્જાતી જ રહે છે.