અમદાવાદ : ગરીબ-સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો સતત વધતી જતી મોંઘવારીથી ત્રસ્ત છે,ભાજપ સરકાર જાહેરાતોમાં વ્યસ્ત છે અને કાળા બજારિયા-સંગ્રહાખોરો મસ્ત છે“બહુત હુઈ મહંગાઈ કી માર”, “અચ્છેદિન”ના રૂપાળા સૂત્રોથી સત્તા મેળવનાર ભાજપ સરકારે જનતા સાથે છેતરપિંડી-વિશ્વાસઘાત કર્યાનો આક્ષેપ ગુજરાત કોંગ્રેસે કર્યો છે.કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું હતું કે,ભાજપ સરકારનાં અણઘડ વહીવટ અને તેલ મિલરોની સાઠગાંઠથી જનતા પરેશાન છે.રોજિંદા જીવનમાં વપરાતી દવાઓમાં ૧૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે.CNGનાં ભાવમાં વર્ષ ૨૦૧૩માં ૩૫.૦૨ પ્રતિ કિલો હતો જે આજે ૮૩ પ્રતિ કિલો જેટલો જંગી થયો છે.કિરાણા ખર્ચમાં છ મહિનામાં 9.3 ટકા અને બે વર્ષમાં 44.97 ટકાનો જંગી વધારાથી મહિને ઘરના બે છેડા ભેગા કરવામાં ભારે મુશ્કેલીનો ગૃહિણીઓ સામનો કરી રહી છે.સીંગતેલના એક ડબ્બાનો ભાવ 3050 રૂપિયા,કપાસીયા તેલના ભાવ 2950 રૂપિયા,પામોલીન તેલના 2700 રૂપિયા અને સોયાબિન તેલના 2400 રૂપિયા થઈ ગયા છે.કપાસિયા અને સીંગતેલના ભાવ લગભગ સરખા થઈ ગયા છે.સાબુ,ટૂથપેસ્ટ,માઉથવોશ,શેમ્પુના ભાવમાં પણ ફરી વધારો કંપનીઓ કરી રહી છે.૧૦ ટકા ભાવ વધારાથી પરિવારોનું બજેટ ખોરવાયું છે.મોઘું શિક્ષણ,મોંઘી આરોગ્ય સેવા,વીમા કંપનીના વધતા જતા પ્રીમિયમ,ઘટતા જતા પગારથી સામાન્ય-મધ્યમવર્ગના પરિવારો આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યાં છે.તેલ,મસાલા,સાબુ,સોડા,સહિતની જીવન નિર્વાહની ચીજ વસ્તુઓના વધતા જતા ભાવથી સામાન્ય-મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે.મહિલાઓને મોંઘવારીની ભેટ આપતી ભાજપ સરકારમાં જીત પછી અહંકાર,નિરંકુશતા અને મોંઘવારીના દિવસોના લીધે દેશ અને રાજ્યની જનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહી છે.
અચ્છે દિન નથી જોઈતા રાજ્યની જનતાને બેફામ મોંઘવારીમાંથી મુક્તિ જોઈએ છે તેવી માગ કરતા કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે,વર્ષ ૨૦૧૪માં ગેસ સિલિન્ડરનો ભાવ રૂ.૪૧૪ હતા જે વર્ષ ૨૦૨૨માં રૂ. ૧૦૦૦ને ઓળંગી ગયો છે.કેન્દ્રમાં કોંગ્રેસની સરકારે વર્ષ 2012-13માં દેશની જનતાને રાહત આપવા માટે એલપીજીમાં રૂ.39,558 કરોડની સબસીડી આપી હતી.વર્ષ 2013-14માં કોંગ્રેસ સરકારે રૂ.46,458 કરોડની સબસીડી આપીને જનતાને રાહત આપી હતી,જે મોદી સરકારે 2015-16માં 18 કરોડ અને વર્ષ 2016-17માં સબસીડી શૂન્ય કરી દીધી.રાંધણ ગેસ સિલિન્ડરના અઢી ગણા ભાવ વસૂલીને ભાજપ સરકાર સતત સિસ્ટમેટિક લૂંટ ચલાવી રહી છે.૨૦૧૪માં પેટ્રોલ પર રૂ.૯.૪૮પ્રતિ લીટર અને ડીઝલ પર રૂ.૩.૫૬પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવતી હતી.વર્ષ ૨૦૨૨માં મે-૨૧ સુધી પેટ્રોલ પર રૂ. ૨૭.૯૦પ્રતિ લીટર અને ડીઝલ પર રૂ.૨૧.૮૦પ્રતિ લીટર જંગી એક્સાઈઝ ડ્યૂટી વસૂલવામાં આવી.છેલ્લા આઠ વર્ષમાં પેટ્રોલ-ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં અસહ્ય વધારો કરી પ્રજાના ખિસ્સામાંથી લુંટેલા ૨૭ લાખ કરોડનો હિસાબ ભાજપ સરકાર ક્યારે આપશે? એમ તેમણે ઉમેર્યું છે.