અમદાવાદ : ખંભાતમાં પકડી પાડવામાં આવેલા ભેળસેળિયા ખાતરના કેસમાં પતાવટ કરવા માટે 50 લાખની લાંચ લેવાના કેસમાં એસીબીએ અમદાવાદ આર.આર.સેલના એ.એસ.આઈ. પ્રકાશ રાઓલને ટ્રેપ ગોઠવી પકડી પાડયા હતા. આ કિસ્સામાં એવી વિગતો પ્રકાશમાં આવી છે કે, ખભાત જીઆઈડીસીમાંથી ઈફ્કોના સબસિડીવાળા ખાતરની 1039 થેલી આર.આર. સેલ દ્વારા કબજે કરાઈ હતી.
ખાતરની ભેળસેળ સ્પષ્ટ કરવા એફએસએલ રિપોર્ટ આવે પછી કાર્યવાહી કરવાની હતી.આ કાર્યવાહી થાય તે પહેલાં જ ટ્રેપમાં આર.આર. સેલના પોલીસ કર્મી પકડાયો છે.બે લાખનું ખાતર હતું તેમાં 50 લાખનો તોડ થયાના મુદ્દાને ગંભીરતાથી લઈને ખાતરમાં ભેળસેળ કૌભાંડની તપાસ ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.ગત તા. 31ના રોજ આણંદમાં ટ્રેપ ગોઠવી એસીબીએ અમદાવાદ આર.આર. સેલના પ્રકાશસિંહ રણજીતસિંહ રાઓલને 50 લાખ રૂપિયાની લાંચ લેતા પકડી પાડયા હતા.આણંદના વિદ્યાનગર રોડ પર ગોઠવાયેલી ટ્રેપમાં પ્રકાશસિંહ રાઓલના રિમાન્ડ મેળવીને એસીબી સઘન પૂછપરછ કરી રહી છે.પરંતુ,વિવાદી બનવાના એંધાણ મળે છે તેવા આ કેસમાં તપાસની વિગતો જાહેર કરવાના બદલે એસીબીના અિધકારીઓ મૌન ધારણ કરી રહ્યાં છે.
ટ્રેપ પછી એસીબીએ એવી વિગતો જાહેર કરી હતી કે, ફરિયાદી મહિલાના કાકાનું ગોડાઉન ખંભાત જીઆઈડીસીમાં આવેલું છે.આ ગોડાઉનમાં આર.આર. સેલએ રેડ પાડી હતી અને તેમાં ફરિયાદી મહિલાના કાકાનું નામ નહીં ખોલવા માટે 60 લાખ રૂપિયા માગવામાં આવ્યા હતાં. 50 લાખમાં પતાવટ થતાં આ રકમ લેવા જતાં આર.આર. સેલના એ.એસ.આઈ. પ્રકાશ રાઓલ ઝડપાઈ ગયાં હતાં.
બીજી તરફ,ખાતર કૌભાંડ પકડી પાડનાર અમદાવાદ રેન્જ પોલીસના સૂત્રોમાંથી પ્રાપ્ય વિગતો મુજબ,ઈફ્કોમાંથી સબસીડીવાળું ખાતર ખેડૂતોને ઓછા ભાવે આપવા માટે કૌભાંડ આચરાયું હતું.સબસીડીવાળા ખાતરમાં ભેળસેળ કરીને મિસ્ડ બ્રાન્ડ (લોકલ બ્રાન્ડ)ની થેલીઓમાં ભરીને સસ્તામા વેચવામાં આવતું હતું.
ખાતર ભરેલી 1039 થેલી તેમજ 1500 ખાલી થેલી કબજે કરવામાં આવી હતી.અંદાજે કુલ 2,13 લાખની કિંમતનું ખાતર કબજે કરવામાં આવ્યું હતું.આમ,બે લાખ રૂપિયાનું ખાતર કબજે કરાયું તેમાં 50 લાખ રૂપિયાનો તોડ કરવામાં આવી રહ્યો હતો.આ સમગ્ર પ્રકરણમાં ઈફ્કોનું સબસિડીવાળું ખાતર મેળવીને ભેળસેળ કરવામાં આવતી હતી તે સૌથી ગંભીર બાબત છે.
આર.આર. સેલ દ્વારા ખાતર કબજે કર્યા પછી નમૂના તપાસ માટે એફએસએલમાં મોકલી અપાયા ંહતાં.એફએસએલમાંથી રિપોર્ટ આવે અને ગુનો નોંધવામાં આવે તે પહેલાં એ.એસ.આઈ. પ્રકાશ રાઓલ 50 લાખની તોસ્તાન ટ્રેપમાં ઝડપાઈ ગયો હતો. આ ગંભીર કિસ્સાને ધ્યાનમાં લઈને ખંભાતના ખાતર કૌભાંડની તપાસ પણ એસીબી કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જો કે,ઈફ્કોના સબસિડીવાળા ખાતરનું કૌભાંડ હોવાથી ડીજીપી આશિષ ભાટિયાએ ઊંડાણભરી તપાસ કરવા માટે ખાતર કેસ સીઆઈડી ક્રાઈમને તપાસ માટે સોંપ્યો છે.50 લાખના તોડકાંડમાં જે પ્રકારે એસીબીએ કાર્યવાહી કરી છે તેની પોલીસ તંત્રમાં ચર્ચા છે.હવે,ઈફ્કોના સબસિડીવાળા ખાતરનું કૌભાંડ જણાતાં આ પ્રકરણમાં ખરેખર ઊંડી તપાસ થાય તો અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ શકે છે.