– કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો
બોટાદ, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર : બરવાળા-ધંધુકા પંથકમાં બનેલી કેમિકલ કાંડની ઘટનાએ 50થી વધુ લોકોનો ભોગ લીધો હતો.લઠ્ઠાકાંડ મામલે કેમિકલ કંપની એમોસના મેનેજિંગ ડિરેક્ટર સમીર નલીનભાઈ પટેલ અને પંકજભાઈ કાંતિલાલ પટેલ,ચંદુભાઈ પટેલ,રજીત મહેશભાઈ ચોકસી અને રાજેન્દ્ર કુમાર દસાડિયાએ બોટાદ સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી દાખલ કરી હતી.બોટાદ સેસન્સ કોર્ટમાં આજે આ આગોતરા જામીન અરજી અંગે ચુકાદો આપવામાં આવ્યો છે.કોર્ટે લઠ્ઠાકાંડ કેસના આરોપીઓને મોટો ઝાટકો આપીને તેમના આગોતરા જામીન નામંજૂર કર્યા છે.
સમીર પટેલ સહિત કુલ 5 લોકોએ બરવાળા તેમજ રાણપુર પોલીસ સ્ટેશનમાં દાખલ ગુનાને
અનુસંધાને બોટાદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી.તારીખ 6 ઓગષ્ટ અને 10 ઓગષ્ટના રોજ વકીલોની દલીલ બાદ આજે બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા બંને પોલીસ સ્ટેશનની મળીને તમામ 10 આગોતરા અરજી નામંજૂર કરવામાં આવી છે.બોટાદના બરવાળા તાલુકામાં બનેલી લઠ્ઠાકાંડની ઘટના રાજ્ય ઉપરાંત દેશભરમાં ચર્ચાનો વિષય બની હતી.કેમિકલ કાંડ કે લઠ્ઠાકાંડની આ ઘટનામાં જે કેમિકલનો જથ્થો ઝડપાયો હતો તે AMOS કંપનીમાંથી આવ્યો હતો.
પોલીસે AMOS કંપનીના સંચાલક સમીર પટેલ સહિત 5 લોકોને 2 વખત સમન્સ પાઠવ્યા હતા. જોકે તે પૈકીનું કોઈ પોલીસ સામે હાજર ન રહેતા લુકઆઉટ નોટિસ પાઠવીને પોલીસે તેમના આવાસ ખાતે તપાસ કરી હતી.ત્યારે સમીર પટેલ સહિતના 5 લોકોએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી રાખી હતી.જોકે નામદાર કોર્ટે અરજી વિડ્રો કરી સેશન્સ કોર્ટમાં અરજી કરવા જણાવ્યું હતું.આમ સમીર પટેલ સહિતના 5 લોકોએ આગોતરા જામીન માટે બોટાદ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.