- વિજય ગલાની લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને લંડનમાં તેમની સારવાર ચાલી રહી હતી
મુંબઇ : બોલિવૂડના દિગ્ગજ નિર્માતા વિજય ગલાનીનું બુધવારે લંડનમાં નિધન થયું છે.વિજય ગલાની લાંબા સમયથી કેન્સરથી પીડિત હતા અને લંડનમાં તેમની સારવાર ચાલી રહી હતી.તેમણે લંડનની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.વિજય ગલાનીના નિધનથી ફિલ્મી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.
અહેવાલો અનુસાર,તેઓ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે પરિવાર સાથે લંડન ગયા હતા.ત્યાં ગયા તેના કેટલાક મહિનાઓ પહેલાં જ તેમને આ બીમારી વિશે ખબર પડી હતી.
વિજય ગલાનીએ નિર્માતા તરીકે ઘણી ફિલ્મો બનાવી.વિજયે ‘સૂર્યવંશી'(1992),’અચાનક’ (1998) જેવી ઘણી ફિલ્મો કરી છે.તેમણે 2001માં ‘અજનબી’નું પણ નિર્માણ કર્યું હતું.જેમાં અક્ષય કુમાર,બોબી દેઓલ,કરીના કપૂર ખાન અને બિપાશા બાસુ મુખ્ય ભૂમિકામાં હતા.
વર્ષ 2010માં ગલાનીએ સલમાન ખાનની ‘વીર’ પ્રોડ્યુસ કરી હતી.તેમની છેલ્લી પ્રોડક્શન ફિલ્મ ‘ધ પાવર’ હતી.આ ફિલ્મ આ વર્ષે 14 જાન્યુઆરીએ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર રિલીઝ કરવામાં આવી હતી.જણાવી દઈએ કે ગલાનીના પરિવારમાં તેમની પત્ની,પુત્ર અને પુત્રી છે.