અમદાવાદ : બ્રિટને ભાગેડુ ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફને ભારતને સોંપવાનો ઇનકાર કરી દીધો છે.હનીફ ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટના બે કેસમાં આરોપી છે.ગૃહ મંત્રાલયના સત્તાવાર સૂત્રોના જણાવ્યાં અનુસાર ટાઇગરનું પ્રત્યાર્પણ થઇ શકતું હતું પરંતુ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના નેતા સાજીદ જાવેદે તેમાં અડિંગો લગાવ્યો હતો.ભારત આ મામલે ફરી પ્રત્યાર્પણની અપીલ દાખલ કરી શકે છે.
59 વર્ષીય હનીફની 2010 માં યુકેમાં જ ધરપકડ કરવામાં આવી હતી.ભારતીય ગુપ્તચર એજન્સીઓની માહિતી પર ત્યાંની પોલીસે આ કાર્યવાહી કરી હતી. તેના પ્રત્યાર્પણનું વોરંટ પણ ભારતીય અધિકારીઓએ મેળવ્યું હતું.ટાઇગરે તેને કોર્ટમાં પડકાર્યો હતો.એપ્રિલ 2013માં બ્રિટિશ હાઇકોર્ટે તેની અપીલ નામંજૂર કરી હતી. ત્યારબાદ તેનો કેસ યુકેના ગૃહ સચિવને મોકલ્યો હતો.જો કે,આ કેસ ઘણા વર્ષો સુધી ચાલ્યા પછી યુકેના ગૃહ સચિવ (2018-19) સાજિદ જાવેદે તેને ભારતને સોંપવાનો ઇનકાર કર્યો હતો.
ટાઇગર હનીફને હનીફ મોહમ્મદ ઉમરજી પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે.તે 1993 માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ઇકબાલ મિર્ચી સાથે પણ સંકળાયેલ છે.તેમણે સુરતના વ્યસ્ત બજારમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી.તેમાં એક આઠ વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.1992ની બાબરી મસ્જિદ તોડવાનો બદલો લેવા સુરત રેલ્વે સ્ટેશન પર બોમ્બ ધડાકામાં પણ તે આરોપી છે.તેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા.