કોરોના સંક્રમણ ઘટતા આજે સમગ્ર ગુજરાતમાં અનેક છૂટછાટ આપવામાં આવી છે,ત્યારે અમદાવાદમાં પરંપરાગત રીતે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે.ગયા વરસે કોરોનાના કારણે રથયાત્રા મંદિરની બહાર સમગ્ર શહેરમાં ફરવાના બદલે મંદિર પરિસરમાં જ ફરી હતી.આ વખતે પણ રથયાત્રા યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે.
અમદાવાદમાં રથયાત્રાને લઈ આજે એક મહત્વની બેઠક મળી હતી.બેઠક પૂર્ણ થયા બાદ રથયાત્રા અંગે આજે પ્રદીપસિંહ જાડેજાએ એક નિવેદન આપ્યું છે.પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રથયાત્રા અંગે આગામી સ્થિતિ મૂજબ નિર્ણય લેવાશે. પરંતુ આગામી 24મી જૂને નીકળનાર જળયાત્રા પ્રોટોકોલ મુજબ નીકળશે.કોરોનાને ધ્યાને રાખી આગામી નિર્ણય લઈશું.
અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ પણ બેઠક પૂર્ણ થયા બાજ જણાવ્યું હતું કે, ગયા વર્ષે કોરોના મહામારીના કારણે રથયાત્રા કાઢી શક્યા નહોતા,પરંતુ હાલ થોડા પ્રતિબંધ હળવા થયા છે ત્યારે બઘાની લાગ્ણી છે કે રથયાત્રા નીકળે. જેથી આગામી 24મી જૂને જળયાત્રા કોરોના ગાઈડલાઈન પ્રમાણે નીકળશે.તમને જણાવી દઈએ કે આગામી 12 જૂલાઈના અષાઢી બીજ છે.
નોંધનીય છે કે, મંદિરના મહંત દ્વારા આગામી 24 જૂને થનારી જળયાત્રાની મંજૂરી મળી ગઈ છે અને 12 જુલાઈએ રથયાત્રા યોજવા અંગે પણ હજી નિર્ણય લેવાયો નથી.રાજ્ય સરકારે રથયાત્રા અંગે જણાવ્યું છે કે સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ જગન્નાથ મંદિરના ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, ‘રથયાત્ર અંગે હાલ તો નિર્ણય લેવામાં આવ્યો નથી.પરંતુ 24 જૂન પહેલા તેના વિશે નિર્ણય લેવામાં આવશે.રથયાત્રા માટે જે પરવાનગી લેવાની હોય તેના માટે હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.પરંતુ યાત્રામાં જોડાવા માટે આ વર્ષે 101 મોટર, ટ્રક જોડાવા તૈયાર છે.’