ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 15 વર્ષ જુના કેસમાં પૂર્વ નગર સેવક મનહર પરમારની પત્નીને દંડ અને સજાનો હુકમ ફરમાવ્યો
ગરીબોનું સરકારી અનાજ બરોબર બિનઅધિકૃત લોકોને વગે કરવામાં કોર્ટે 240 પાનાના ચુકાદામાં ગંભીર નોંધ લીધી
ભરૂચ આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ નગરસેવક મનહર પરમારની પત્નીને 15 વર્ષ જુના સસ્તા અનાજની દુકાનમાં ઉચાપતના ગંભીર કેસમાં ભરૂચના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે 5 વર્ષની સજા તેમજ દંડનો હુકમ કર્યો છે.ભરૂચ નગર પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ભરૂચ વિધાનસભા બેઠકના આપના ઉમેદવાર મનહર પરમારની પત્ની ઇન્દુમતીબેન પરમાર સસ્તા અનાજની દુકાનના સંચાલિકા છે.શહેરના વસંત મિલની ચાલમાં ઇન્દુમતીબેનની સસ્તા અનાજની દુકાન આવેલી છે.વ્યાજબી ભાવની દુકાન ચલાવતા મહિલા સંચાલિકા ગરીબો રેશનકાર્ડ ધારકોને આપવાનું થતા સરકારી ઘઉં,ખાંડ,કેરોસીન,તેલનો જથ્થો અન્યને આપી દેતા હતા.
વર્ષ 2008 માં સરકારી અનાજનો જથ્થો કાર્ડ ધારકોને નહિ આપી બિન અધિકૃત વ્યક્તિઓને આપવા બદલ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઈ હતી.રેશનિંગની આવશ્યક ચીજ વસ્તુઓનો જથ્થો પોતાના અંગત લાભ સારું વગે કરી મોટી રકમની ઉચાપતનો મામલો સામે આવ્યો હતો.સંચાલીકા વાજબી ભાવની દુકાનના સ્ટોકના ખોટા દસ્તાવેજો,ખોટા બિલો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.બી ડિવિઝનમાં ગુનો નોંધાતા જે તે સમયે તપાસ અધિકારીએ ઇન્દુમતીબેન મનહરભાઈ પરમાર સામે પૂરતા પુરાવા મેળવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફોજદારી કેસ નંબર 8103/2008 નોંધાયો હતો.જે કેસ ચાલી જતા પુરાવાના આધારે અને ગંભીર પ્રકારના ગુનામાં સરકારી વકીલે દલીલો કરી હતી.સરકારી વકીલ એ.પી. ધાસુરાએ આવા ગુનાથી સમાજ પર ખોટી અસર ઉભી થવાની તેમજ લોકોને સસ્તા અનાજની દુકાન પરથી વિશ્વાસ ઉઠી જાય તેવું કૃત્ય ગણાવ્યું હતું.જેથી આરોપીને વધુમાં વધુ સજા કરવા અને સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલે કોર્ટ સમક્ષ આગ્રહ કર્યો હતો.
ભરૂચ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.ડી. જેઠવાએ સમાજમાં દાખલો બેસાડવા અને આવા ગંભીર ગુના ન બને તે માટે સસ્તા અનાજની મહિલા સંચાલિકા ઇન્દુમતીબેન મનહરભાઈ મગનભાઈ પરમારને 5 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો હતો.ક્રિમિનલ પ્રોસીઝર કોડની કલમ 248 (2) હેઠળ અલગ અલગ કલમોમાં સજા અને દંડ આજે બુધવારે ફરમાવ્યો હતો. કોર્ટે 240 થી વધુ પાનાનો ચુકાદો આપ્યો હતો.