બળાત્કારી મૌલવી વિરુદ્ધ આમોદ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઇ : તપાસ શરૂ
ભરુચના જિલ્લાના આમોદમાં આવેલા બચ્ચોકા ઘરના મદરેસામાં બાળકોને તાલીમ આપતા ૬૮ વર્ષીય મૌલવીએ મદરેસામાં જ રહેતી તેર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બહાર આવી છે. આ મામલે મૌલવી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર બળાત્કારની બનતી ઘટનાઓ પર અંકુશ લાવવા સરકાર દ્વારા સમયાંતરે કાયદાઓ કડક બનાવવા છતાં આ પ્રકારની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહે છે. આવી જ એક ઘટના ભરૂચ જિલ્લાના આમોદ ગામમાં બહાર આવતા ભારે ચકચાર મચી જવા પામી છે.
ભરૂચના મદરેસામાં બાળકોને તાલીમ આપતા ૬૮ વર્ષીય નરાધમ મૌલવીએ મદરેસામાં જ રહેતી તેર વર્ષની સગીરા પર બળાત્કાર ગુજારતા મૌલવી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા ભારે ચકચાર મચી જવા પામી છે. બચ્ચોકા ઘર નામનો મદરેસામાં છોકરા અને છોકરીઓ હોસ્ટેલમાં રહીને ધાર્મિક શિક્ષણ પ્રાપ્ત કરે છે.
આ મદરેસામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ બાળકો ધાર્મિક અભ્યાસ અર્થે આવે છે. મદરેસામાં ૬૮ વર્ષીય મૌલવી બાળકોને ધાર્મિક શિક્ષણ આપવાનું કામ કરે છે. મદરેસામાં અભ્યાસ કરતી તેર વર્ષીય સગીરાને નરાધમ મૌલવી એ તારી મમ્મીનો ફોન આવ્યો છે તેમ કહી દુકાનમાં બોલાવી અવારનવાર તેના પર બળાત્કાર ગુજર્યો હોવાની ઘટના સામે આવી છે.
આ બાબતે માટે સગીરાની માતાએ કિશોરીને પૂછતાં તેણે મદરેસાના નરાધમ મૌલવી અબ્દુલ્લા બોરા દ્વારા અવારનવાર તેને ફોનના બહાને બોલાવીને બળાત્કાર ગુજારતો હોવાનું ચિઠ્ઠીમાં લખીને જણાવ્યુ હતુ. તેની માતાએ મોડી રાત્રે મૌલવી વિરૂધ્ધ આમોદ પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી મૌલવી સામે કાર્યવાહી આરંભી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.