– કલેકટરે સમિક્ષા કરી વર્ગ 3 ના કર્મીઓની જાહેરહિતમાં વહીવટી દ્રષ્ટિએ સાગમટે બદલી કરી
– જિલ્લાની વિવિધ કચેરીના 33 મહેસુલી તલાટી અને 31 કારકુનના કરાયા ટ્રાન્સફર
ભરૂચ જિલ્લા કલેકટર દ્વારા વર્ગ 3 ના મહેસુલ વિભાગમાં ફરજ બજાવતા 64 કર્મચારીઓની તાત્કાલિક અસરથી બદલીઓ કરી દેવામાં આવી છે.રાજ્ય સરકારના મહેસુલ વિભાગે સરકારી કચેરીઓમાં છેલ્લા 4 વર્ષથી એક જ સ્થળે અને એક જ કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓની તાત્કાલિક બદલી કરવા પરિપત્ર જારી કર્યો હતો.ભરૂચ જિલ્લામાં સરકારના મહેસુલ વિભાગના પરિપત્ર મુજબ મહેસુલ ખાતામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર,કારકુન અને તલાટીઓની જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ સમિક્ષા કરી હતી.જિલ્લા કલેકટરની સમિક્ષામાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 33 મહેસુલી તલાટી અને 31 કારકુન 4 વર્ષથી એક જ જગ્યા અને એક જ કચેરીમાં ફરજ બજાવતા હોવાનું બહાર આવ્યું હતું.જેને લઈ જાહેરહિતમાં વહીવટી દ્રષ્ટિએ જિલ્લાના મહેસુલ વિભાગના વર્ગ 3 ના 64 મહેસુલી તલાટીઓ અને કારકુનોની તાત્કાલિક અસરથી સાગમટે બદલીનો હુકમ કરાયો છે.ભરૂચ કલેકટરે જે તે કચેરીના વડાને આ 64 કર્મચારીઓને તાત્કાલિક છુટા કરવા અને બદલી કરાયેલ જગ્યાના વડાને આ કર્મચારીને સેજા ફાળવી તેનો રિપોર્ટ કરવા સૂચના આપી છે.