અમદાવાદ : રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસો વધી રહ્યા છે.તો બીજી તરફ મધ્યમ અને ગરીબ વર્ગના લોકોની હાલત પણ કફોડી બની છે.રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવતા ધંધાને ઉદ્યોગોને ખોલવાની મંજૂરી આપી છે પરંતુ બે મહિના જેટલા સમયથી રાજ્યના ધંધા-ઉદ્યોગ બંધ રહેતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં તો સ્થાનિક ધારાસભ્ય,સાંસદ સભ્ય અને કોર્પોરેટરો લોકોની મદદ માટે દોડી ગયા હતા અને તેઓએ અનાજની કીટનું અને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું.
અમુક વિસ્તારોમાં કોરોનાની કપરી પરિસ્થિતિ વચ્ચે જે જનતાએ ખોબલેને ખોબલે નેતાઓને મત આપીને જે નેતાને પોતાના પ્રતિનિધિ બનાવ્યા તે પ્રતિનિધિઓ જનતાની મૂલાકાત લેવા માટે ગયા જ નહીં.જેથી લોકોમાં તેમના વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે ત્યારે અમદાવાદના કેટલાક ધારાસભ્યોના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.કોરોનાની મારામારી વચ્ચે જનતાને રામ ભરોસે મુકીને ધારાસભ્ય ગાયબ થઇ ગયા હોવાનો ઉલ્લેખ પણ આ પોસ્ટરમાં કરવામાં આવ્યા છે.રિપોર્ટ અનુસાર કોરોના કપરા સમયમાં પણ જનતાની મુલાકાત માટે નહીં ગયેલા ધારાસભ્યો સામે લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો છે. જેના કારણે લોકોએ ધારાસભ્ય કોરોનાની મહામારીમાં જનતાને રામ ભરોસે મૂકી ધારાસભ્ય ગાયબ થયા હોવાના પોસ્ટરો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે.
જે ધારાસભ્યના પોસ્ટરો વાયરલ થયા છે તેમાં દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય બાબુ પટેલ, બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ઠક્કરબાપા વિધાનસભાના ધારાસભ્ય વલ્લભ કાકડિયાનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યોના પોસ્ટરો એક જ ફોર્મેટ પ્રમાણે બનાવવામાં આવ્યા છે અને ધારાસભ્ય ગાયબ હોવાનું જણાવવામાં આવ્યું છે.આ ધારાસભ્ય ઉપરાંત અમદાવાદના નિકોલ વિસ્તારના ધારાસભ્ય જગદીશ પંચાલ અને અમરાઈવાડી વિસ્તારના ધારાસભ્ય જગદીશ પટેલ પણ ખોવાયેલા હોવાનું પોસ્ટરમાં જણાવવામાં આવ્યુ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પોસ્ટરમાં સૌથી ઉપર મિસિંગ લખવામાં આવ્યું છે ત્યારબાદ નીચે ધારાસભ્યનો ફોટો, ધારાસભ્યનું નામ અને તેમનો વિસ્તાર,અંતમાં લખવામાં આવ્યું છે કે,કોરોનાની મહામારીમાં વધતા કેસોની વચ્ચે જનતાને રામ ભરોસે મુકીને ધારાસભ્ય ગાયબ થયેલ છે.મહત્ત્વની વાત એ છે કે સોશિયલ મીડિયામાં ધારાસભ્ય મિસિંગ થયા હોવાના જે પોસ્ટરો વાયરલ થયા છે તે તમામ ભાજપના ધારાસભ્ય છે.