ઝાલોદ : સામાજિક અગ્રણી અને રાજકીય આગેવાનનું અજાણ્યા વાહનની ચક્કરે મોત થતાં ભારે ચકચાર મચી ગઈ છે.જોકે,તેમનું અકસ્માતમાં મોત થયું કે હત્યા કરવામાં આવી તેને લઈને ભારે તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.આ બધાની વચ્ચે મૃતક હિરેન પટેલના પુત્રે તેમની હત્યા થઈ હોવાના આક્ષેપ સાથે ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.આ ઉપરાંત મોતની તટસ્થ તપાસની માંગ સાથે આજે ઝાલોદ બંધનું એલાન આપવામાં આવ્યું છે.ઝાલોદમાં નાગરીકોએ દુકાન-રોજગાર બંધ રાખ્યા છે.પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝાલોદ નગરપાલિકાના કાઉન્સિલર હિરેન પટેલના પુત્ર પંથ દ્વારા પિતાનું અકસ્માતમાં મોત નહીં,પરંતુ તેમની હત્યા કરી નાંખવામાં આવી હોવાનો આક્ષેપ લગાવ્યો છે. રાજકીય અદાવત રાખી હત્યા કરવાનો તેમના પુત્રે આક્ષેપ લગાવ્યો છે.
નોંધનીય છે કે, વહેલી સવારે મોર્નિગ વોકમાં નીકળેલા ઝાલોદ પાલિકાના કાઉન્સિલર હિરેન પટેલનું અજાણ્યા વાહનની ટક્કરે મોત થયું છે.આ ઘટના અંગે પોલીસે CCTVની મદદથી તપાસ શરૂ કરી છે.કાઉન્સિલરના મોતથી ઝાલોદમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ ગઇ છે.હિરેન પટેલ ઝાલોદ પાલિકામાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓ સમાજિક અને રાજકીય આગેવાન હતા.
પોતાના મુવાડાનાકા સ્થિત ઘરેથી વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા હિરેન પટેલને રસ્તા પર પરિચિત વ્યક્તિએ ઇજાગ્રસ્ત હાલતમાં ઝાડીમાં પડેલા જોયા હતા,જેથી તેમણે તરત જ તેમના પરિવારજનોને જાણ કરી દીધી હતી.હિરેન પટેલને પહેલા ઝાલોદની સુન્દરમ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઇ જવાયા હતા.આ પછી તેમને વધુ સારવાર અર્થે વડોદરા ખાતે રેફર કરાયા હતા.જોકે,તેમનું રસ્તામાં જ મોત થઈ ગયું હતું.