નવી દિલ્હી,તા. 9 : બિહારમાં નિતીશકુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને હવે રાજદ અને કોંગ્રેસના સહયોગથી સરકાર બનાવવાની તૈયારી કરી છે.પરંતુ ભાજપનાં ભાથામાં એક ઘણા તીર છે અને સંભવત: હવે નિતીશકુમારની હાલત મહારાષ્ટ્રના ઉધ્ધવ ઠાકરે જેવી થઇ શકે છે.ખાસ કરીને નિતીશકુમાર સાંજે રાજ્યપાલ ફાગુસિંહ ચૌહાણને પોતાનું રાજીનામુ સુપરત કરશે ત્યારબાદ શું તેના પર ભાજપની નજર છે.
ટોચના સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભામાં 75 બેઠકો ધરાવતા ભાજપ માટે 122 બેઠકોની બહુમતી સુધી પહોંચવાનું અઘરુ છે પરંતુ મુશ્કેલ નથી.ખાસ કરીને આગામી દિવસોમાં રાજ્યપાલના નિર્ણય પર સૌની નજર છે.હાલની સ્થિતિમાં તેઓ હવે સરકાર રચવા માટે નિતીશકુમારનો દાવો ફરી સ્વીકારે છે કે કેમ તે પણ નિશ્ચીત નથી.આ ઉપરાંત ભારતીય જનતા પક્ષ હજુ સરળતાથી નિતીશકુમારને સરકાર બનાવવા દેશે તે પણ અનિશ્ચીત છે.પટણામાં આજે સાંજે ભાજપના રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી રહી છે અને દિલ્હીના માર્ગદર્શન મુજબ ભાજપ આગળ વધશે.બીજી તરફ બિહાર ભાજપના સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા પણ એકશનમાં આવી ગયા છે અને સાંજે ભાજપનું પ્રતિનિધિ મંડળ પણ રાજ્યપાલને મળે તેવા સંકેત છે.