મહારાષ્ટ્રના મંત્રીએ કહ્યું – અમે ભાજપના એમએલએને સરકારમાં સમાવવાની ભૂલ નહીં કરીએ
એજન્સી, મુંબઈ
મહારાષ્ટ્ર વિકાસ અઘાડીના મંત્રી અને એનએસપીના પ્રદેશ પ્રમુખ જયંત પાટિલે દાવો કર્યો છે કે ભાજપના 14-15 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે, પરંતુ અમે વિપક્ષના નેતાઓને અમારી સરકારમાં સમાવવાની ભૂલ ક્યારેય નહીં કરીએ.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશમાં ‘ઓપરેશન લોટસ’ હેઠળ કમલનાથ સરકારને ઉથલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ત્યારે પાટિલનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પાટિલે આક્ષેપ કર્યો કે ભાજપ સરકાર રચવા માટે ખૂબજ તત્પર રહે છે.
પાટિલે દાવો કરતા કહ્યું કે, ‘ભાજપના ચૌદથી પંદર ધારાસભ્યો આજે પણ અમારા સંપર્કમાં છે. તેમની સાથે અમારા સારા સંબંધો છે જેથી અમે તેમના કામો કરીએ છે. તેમની માનસિકતાને પણ સમજીએ છે. પરંતુ ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ સારી વાત નથી..અમે આવી ભૂલ નહીં કરીએ. અમે અમારી સરકાર ટકી રહે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીશું.’
મધ્ય પ્રદેશ કોંગ્રેસે બુધવારે આક્ષેપ કર્યો હતો કે તેમના આઠ-નવ ધારાસભ્યોને ગુડગાંવમાં ગોંધી રાખવામાં આવ્યા છે. ભાજપ દ્વારા આ પ્રયાસ કરાયો છે અને તેના થકી રાજ્યમાં કમલનાથ સરકારને ઉથલાવવાનો કારસો રચાઈ રહ્યો હોવાનો દાવો કરાયો હતો. જો કે ભાજપે કોંગ્રેસના આ દાવાને ફગાવી દીધો હતો.