બારડોલી : ગુજરાત પ્રદેશ ભાજપની કારોબારીની બેઠકમાં સુરત જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવેલી ડીજીટલ કામગીરીની ટોચના નેતાઓએ સરાહના કરી અન્ય જિલ્લાઓને પણ સુરત જિલ્લાને અનુસરવાની સલાહ આપી હતી. ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પોતાના મત વિસ્તારમાં થયેલી કામગીરી અંગે રજૂ કરેલા પ્રેજેન્ટેશનને રાષ્ટ્રીય નેતાઓએ પણ બિરદાવ્યું હતું.
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં રાષ્ટ્રીય ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, ગુજરાતના પ્રભારી અને કેન્દ્રીય શ્રમ અને પર્યાવરણ પ્રધાન ભુપેન્દ્ર યાદવ, કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલા,રેલવે રાજ્ય પ્રધાન દર્શના જારદોષ,સંચાર પ્રધાન દેવુસિંહ ચૌહાણ,ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી,નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, પ્રદેશ મહામંત્રી રત્નાકરજી,ભાગઁવભાઇ ભટ્ટ,પ્રદીપસિંહ વાઘેલા તેમજ પ્રદેશના અન્ય પદાધિકારીઓ,રાજ્યના પ્રધાનો,સંસદ સભ્યો,ધારાસભ્યો,જિલ્લા સંગઠનના પ્રમુખો અને મહામંત્રીઓ,પ્રદેશ કારોબારીના સભ્યો,આમંત્રિત સભ્યો,વિશેષ આમંત્રીતો સહિત 700 જેટલા ગુજરાત ભાજપની ધરોહર ગણાતા અગ્રણી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત જ એક એવું રાજ્ય બન્યું છે જેમાં સંગઠનની તમામ કામગીરી પેપરલેશ બની છે.તેમના દ્રારા આ પ્રસંગે 800 જેટલા ટેબ્લેટ ભાજપ સંગઠનના પદાધિકારીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.હવે તમામની હાજરી પણ ડિજિટલ ફેસ રેકોગનાઇઝ સિસ્ટમથી પુરવામાં આવશે.
બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીને બિરદાવતો અભિનંદન ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.રાજયમાં દરેક બુથમાં પેજ સમિતિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ 17 સપ્ટેમ્બરના રોજ રાજ્યના 7100 ગામના રામમંદિરોમાં એક જ સમયે સાંજે 7 વાગ્યે આરતી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત સુરત જિલ્લા સંગઠન ડિજિટલ કામગીરીમાં સમગ્ર રાજયમાં મોખરે રહ્યો હોય મહામંત્રી રત્નાકરજી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.સુરત જિલ્લા સંગઠન પ્રમુખ સંદીપ દેસાઈના માર્ગદર્શનમાં જિલ્લામાં સરળ સોફ્ટવેરમાં જિલ્લાના તમામ પદાધિકારીઓ,વિવિધ મોરચાના પદાધિકારીઓના નામની 100 ટકા એન્ટ્રી કરવામાં આવી છે.જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.બીજી તરફ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે તેમના મત વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2200 મકાન મંજુર કરાવી ગૃહ પ્રવેશ કરાવ્યો તેનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.જેને સંગઠન અને રાષ્ટ્રીય નેતાઓએ સરાહના કરી હતી. સીઆર પાટીલના પ્રદેશ પ્રમુખ પદે કોરોના કાળ બાદ પ્રથમ વખત પ્રદેશ કારોબારી યોજાય હતી જેમાં ટેબ્લેટ વિતરણ થતા તમામ ભાજપ અગ્રણીઓમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.