– ખરડાયેલી ઇમેજવાળા મંત્રીઓને મોદીએ દરવાજો દેખાડયો
– કાર્યકરોની અવગણના કરી મળતિયાઓના કામ કરનારા સિનિયર મંત્રીઓના બેહાલ
નવા મંત્રીમંડળમાં જૂના જોગીઓનુ પત્તુ કાપવા નક્કી કરાયુ છે જેના કારણે ભાજપના કાર્યકરો અંદરખાને રાજીના રેડ થયા છે.કાર્યકરોની સતત અવગણના કરી માત્રને માત્ર મળતિયાઓના કામ કરતાં મંત્રીઓના બેહાલ થયા છે.ખુદ નરેન્દ્ર મોદીએ જ નો રિપિટ થિયરીના બહાને ભ્રષ્ટ ઇમેજ ધરાવતાં મંત્રીઓને દરવાજો દેખાડી દીધો છે.
આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન કરાયુ છે.છેલ્લાં કેટલાંય વખતથી એવી ફરિયાદ ઉઠી હતીકે,મંત્રીઓ કાર્યકરોને મુલાકાત ય આપતા નથી.માત્ર મળતિયાઓના જ કામ કરવા મંત્રીઓ ટેવાયેલાં હતાં.એકહથ્થુ શાસન ભોગવતાં મંત્રીઓેને કાર્યકરોની અવગણના ભારે પડી છે.આમ જનતાના કામ ન થતાં ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વાતની ગંભીરતાથી નોંધ લીધી હતી જેના કારણે જૂના જોગીઓનુ પત્તુ કાપવા નક્કી કરાયુ હતું.આજે પાટનગર ગાંધીનગરમાં રુપાણી સરકારનના મંત્રીઓએ સમાજ-મત વિસ્તારના નામે રાજકીય દબાણ ઉભુ કરવા પ્રયાસ કર્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી.પ્રદેશ ભાજપના નેતાઓ સિનિયર મંત્રીના દબાણ સામે ઝૂકી ગયા હતાં.જોકે, અંસંતોષના માહોલ વચ્ચે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાજી સંભાળી લીધી છે.મોદી નો રિપીટ થિયરી અજમાવી કલિન ઇમેજ ધરાવતાં યુવા ધારાસભ્યોને મંત્રી બનાવી લોકોમાં ભ્રષ્ટાચારમુક્ત સરકારનો સંદેશો મોકલવા ઇચ્છુક છે.આ કારણોસર ગુજરાત ભાજપના કાર્યકરો ખુશખુશાલ છે.