અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.માં નગરસેવક તરીકે ચૂંટાતા ૧૯૨ કોર્પોરેટરોને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પ્રવાસે લઇ જવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને કોર્પોરેટરોને પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવા માટે મોવડીમંડળ ના નહીં પાડે તેમ લાગી રહ્યું છે.મ્યુનિ.ભાજપનાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,મ્યુનિ.માં અગાઉ ભાજપનાં અને કોંગ્રેસનાં શાસનમાં કોર્પોરેટરોને અભ્યાસનાં નામે દેશવિદેશનાં પ્રવાસે જવાની તક મળતી હતી.જોકે,તેમાં ઘણા કોર્પોરેટરો પ્રવાસમાં ખર્ચાપાણી માટે પાર્ટીનાં નામે ઉઘરાણા કરતાં હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી હતી.એટલું જ નહીં,કેટલાક કોર્પોરેટરો પરપ્રાંતમાં જઇ જલસા કરતાં હોવાની પણ કાનાફૂસી કોર્પોરેટરોમાં થતી હતી.
એકંદરે પ્રવાસે જવામાં અને પ્રવાસે ગયા પછી કોર્પોરેટરોનાં વાણીવર્તનને લગતી વ્યાપક ફરિયાદો બાદ ભાજપ મોવડીમંડળે મ્યુનિ.કોર્પોરેટરોને કોઇપણ જાતનાં અભ્યાસના નામે પ્રવાસ ઉપર મનાઇ ફરમાવી દીધી હતી.લગભગ ગત પાંચ વર્ષ તો કોર્પોરેટરો કોઇ ક્યાંક તો પ્રવાસ ગોઠવો તેમ કહી કહીને ઘરભેગા થઇ ગયા પણ તેમનો મેળ પડ્યો નહોતો.જોકે,અધિકારીઓને આ નિયમ લાગુ પડતો નહોતો.તાજેતરમાં જ વર્તમાન મ્યુનિ.કમિશનર વિદેશ પ્રવાસે જઇ આવ્યા છે અને હજુ એક ડે.કમિશનરને પણ વિદેશ પ્રવાસ જવાની મંજૂરી આપતી દરખાસ્ત પણ સ્ટે.કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી.
મ્યુનિ.ભાજપનાં સૂત્રોએ ડે.કમિશનરને વિદેશ પ્રવાસની દરખાસ્તનો આધાર લઇને કોર્પોરેટરોનાં પ્રવાસ ગોઠવવા માટે અંદરોઅંદર ચર્ચા ચાલી હોવાની માહિતી આપતાં કહ્યું કે,પ્રથમ તબક્કામાં ગુજરાત રાજ્યમાં જ સરદાર સરોવર ડેમ સામેનાં વિશ્વ વિખ્યાત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે.મ્યુનિ.હોદ્દેદારોને તથા કોર્પોરેટરોને પણ એવો વિશ્વાસ છે કે,સરદાર પટેલની વિશાળ પ્રતિમાની મુલાકાત લેવા માટે પાર્ટી નેતાગીરી ઈનકાર કરશે નહીં.
મ્યુનિ.માં અગાઉ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સારાસારીનાં સબંધ હતા ત્યાં સુધી બન્ને પક્ષનાં કોર્પોરેટરો ઘણા બધા લાભ સંયુક્ત રીતે લેતા હતા.કોંગ્રેસનાં શાસનમાં તો અમેરિકા પ્રવાસમાં ભાજપનાં સ્ટે.કમિટી સભ્યોને લઇ જવાયા હતા,પરંતુ રાજ્યની એક મહાનગરપાલિકામાં પ્રોરેટાનાં અમલનાં મામલે વાંકુ પડતાં અમદાવાદ મ્યુનિ.માં ભાજપે કોંગ્રેસનાં કોર્પોરેટરોને પ્રવાસ વગેરેનો લાભ આપવાનુ બંધ કરી દીધું છે, પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જવાનુ હોવાથી તેમાં કોઇ વાંધાવિરોધ ન કરે તે માટે મ્યુનિ.ભાજપે ભાજપનાં કોર્પોરેટરોની સાથે કોંગ્રેસ,મીમ અને અપક્ષ સહિત તમામ કોર્પોરેટરોને પણ સાથે રાખવાનું મન બનાવ્યું છે.આગામી દિવસોમાં તમામ કોર્પોરેટરોને સ્ટેચ્યૂ ઓફ યુનિટી આગળ ફોટા પડાવીને સોશિયલ મીડિયા ઉપર મૂકવાની તક મળશે તેમ જાણવા મળ્યું છે.