કોલકતા : પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે વાર અને પ્રતિવારનો સિલસિલો ચાલી રહ્યો છે.ગૃહપ્રધાન અમિત શાહના બે દિવસના બંગાળ પ્રવાસ પછી સોમવારે મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પત્રકાર પરિષદમાં પોતાના પક્ષની ઉપલબ્ધિ ગણાવીને ભાજપ પર પ્રહારો કર્યા હતા.અમિત શાહે ઉઠાવેલા સવાલો વિષે મમતા બેનરજીએ જણાવ્યું હતું કે,’ ગૃહપ્રધાનને જુઠ્ઠું બોલવું શોભા નથી આપતું. હું તેમના સવાલોના જવાબ કાલે આપીશ.ભાજપ ચીટિંગબાજ પક્ષ છે,રાજકારણ માટે તે કાંઈ પણ કરી શકે છે.’મમતા બેનરજીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર ભ્રમ ફેલાવી રહી છે.મમતાએ કહ્યું કે ૨૮ ડિસેમ્બરે તેઓ એક વહીવટી બેઠકમાં ભાગ લેવા બીરભૂમ જશે અને ૨૯ તારીખે ત્યાં રેલી કરશે.બીરભૂમના બોલપુર ખાતે અમિત શાહે રવિવારે રોડ શો કર્યો હતો.રોડ શો કર્યા પછી અમિત શાહે જણાવ્યું હતું કે બંગાળ શિક્ષણ,આરોગ્ય અને વિકાસ મોરચે પીછેહટ કરી રહ્યું છે.પરંતુ ભ્રષ્ટાચાર,કુટુંબવાદ અને રાજકીય હિંસામાં નંબર વન બની ગયું છે.પત્રકાર પરિષદમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે,’ ખોટા તથ્યો બોલીને અમિત શાહ બંગાળના લોકોનું અપમાન ના કરે.’
સીએએ, એનઆરસીનો વિરોધ ચાલુ રહેશે : મમતા
અમિત શાહને જવાબ આપતાં મમતાએ કહ્યું હતું કે ભાજપના નેતાઓ કાંઈપણ બોલી શકે છે.તેમણે નાગરિકતા સંશોધન વિધેયક મુદ્દે પણ વાત કરી.તેમણે કહ્યું કે,’ સીએએ કાયદો પસાર થયો ત્યારથી અમે વિરોધ કરી રહ્યા છીએ.ભાજપ લોકોનું ભાવિ નક્કી ના કરી શકે,લોકોને તેમનું ભવિષ્ય નક્કી કરવા દો. અમે સીએએ, એનપીઆર અને એનઆરસીના વિરોધમાં છીએ.કોઈ પણ વ્યક્તિએ દેશ છોડવાની જરૂર નથી.’
મમતાની ‘આઉટ સાઇડર્સ’ ટિપ્પણી : રાજ્યપાલે બંધારણની યાદ અપાવી
પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી તાજેતરમાં રેલીઓને સંબોધન કરતાં ભાજપ તે બહારના લોકો પક્ષ હોવાનું કહીને તેના નેતા પણ રાજ્ય બહારના હોવાનું કહેતા રહ્યા છે.રાજ્યપાલ જગદીપ ધનકરે મમતાનું નામ લીધા વિના જ આવા નિવેદન બદલ તેમને આત્મચિંતન કરવા સૂચવ્યું હતું.તેમણે કહ્યું કે,’ આવી સંસ્કૃતિ ગેરબંધારણીય છે.આવું બોલનારાને હું બંધારણ વાંચવા વિનંતી કરું છું.’