પાટણ : પાટણમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં મોટી ગેરરીતિનો એક મામલો ઉજાગર થયો છે. 2018માં એમબીબીએસનો અભ્યાસક્રમ કરી રહેલા ત્રણ નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરી દેવાયાનો મામલો બહાર આવ્યા બાદ આ ત્રણ વિદ્યાર્થી પૈકીનો એક ભાજપ નેતાનો પુત્ર હોવાનું ખુલવા પામ્યું છે.
વર્ષ 2018માં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એફ.વાય.એમબીબીએસની માર્ચ-જૂન મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષાના પરિણામ બાદ 10 વિદ્યાર્થીઓએ રિ-એસેસમેન્ટની અરજી કરી હતી જેમાં તપાસ કર્યા બાદ ગોટાળાનો ખુલાસો થયો હતો. આ મુદ્દે યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી જે તપાસ ત્રણ વર્ષ સુધી ચાલ્યા બાદ અંતે ત્રણ વિદ્યાર્થીઓને પાસ કરવા મામલે ગોલમાલ થઈ હોવાનું બહાર આવ્યું છે.સમિતિએ આપેલા રિપોર્ટ મુજબ 10 વિદ્યાર્થીઓના મૂલ્યાંકનમાં ફેરફાર જોવા મળ્યા છે જેમાં ત્રણ વિદ્યાર્થીઓના નામ ખુલ્યા હતા.આ ત્રણ વિદ્યાર્થીઓના પુન: મૂલ્યાંકનમાં વિસંગતતા જોવા મળી હતી.પરીક્ષામાં 392 નંબરની બેઠક પર જે વિદ્યાર્થી બેઠો હતો તે નાપાસ હોવા છતાં પાસ કરી દેવાયો હતો.આ વિદ્યાર્થીનું નામ પાર્થ અશોકભાઈ મહેશ્ર્વરી છે અને તેના માતા હર્ષાબેન પાલનપુર પાલિકાના પૂર્વ પ્રમુખ છે સાથે સાથે તેઓ પાલનપુર પાલિકામાં ભાજપના શાસક પક્ષના નેતા પણ છે.