બારડોલી : ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ હજી છૂટતો નથી રાજ્યમાં ઑક્સીજન અને હોસ્પિટલોમાં બેડના અભાવે અનેક લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે કોવિડ સેન્ટરો તાત્કાલિક શરૂ કરવાની જગ્યાએ નેતાઓના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે.રાજકીય કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારના પ્રતિનિધિઓ જ તેનું ખુલ્લેઆમ ભંગ કરી રહ્યા છે ત્યારે સામાન્ય લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.સુરત જિલ્લાના વાંકલની વિજ્ઞાન કોલેજમાં અને ઉમરપાડાની કુમાર છાત્રાલય ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલ અને રાજ્યના વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવાની ઉપસ્થિતિમાં કોવિડ કેર સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનો પણ ભંગ થતો જોવા મળ્યો હતો.એટલું જ નહીં અહીં નેતાઓની ઉપસ્થિતિને કારણે આરોગ્ય અને વહીવટી તંત્ર પણ તેમની ચાકરી કરવામાં જ વ્યસ્ત જોવા મળ્યા હતા.
સુરત સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ખૂબ જ વિકટ બની છે.અનેક ઠેકાણે દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચવા માટે એમ્બ્યુલન્સ નથી મળી રહી તો કેટલાક દર્દીઓને હોસ્પિટલમાં જગ્યા ન મળવાથી કે ઑક્સીજન ન મળવાથી મોતને ભેટી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે પણ ભાજપના નેતાઓ તાયફા કરવામાં જ વ્યસ્ત છે.મહામારીની વિપરીત પરિસ્થિતીમાં પણ સત્તાધારી પક્ષ ભાજપના નેતાઓનો ઉદ્ઘાટનનો મોહ નથી છૂટી રહ્યો.નાના નાના કોવિડ સેન્ટરોના ઉદ્ઘાટન કરવા માટે પણ ભીડ લઈને પહોંચી જતાં નેતાઓને કારણે કોરોના ગાઈડલાઇનનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે.રાજ્ય સરકાર દ્વારા રાજકીય,સામાજિક,સાંસ્કૃતિક,શૈક્ષણિક કાર્યક્રમો કે મેળવડા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.તેમ છતાં સરકારના જ આદેશની અવગણના કરી સરકારના જ પ્રતિનિધિઓ તેનો જાહેરમાં ભંગ કરી રહ્યા હોય લોકોમાં પણ સરકારની બેધારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.સુરત જિલ્લાના વાંકલ ખાતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલ, વન અને આદિજાતિ પ્રધાન ગણપત વસાવા,જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઇ,જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓની ફોજ કોવિડ સેન્ટરના ઉદ્ઘાટન કરવા માટે પહોંચી ગઈ હતી.જ્યાં 60 બેડના ઑક્સીજન સાથેના અને 180 આઇસોલેશન બેડનું કોવિડ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ઉમરપાડા ખાતે પણ 100 બેડની સુવિધા વાળું કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.નેતાઓના જતાંની સાથે જ સરકારી અધિકારીઓ,કર્મચારીઓ અને આરોગ્યના સ્ટાફ પણ તેમની આગતાસ્વાગતામાં લાગી ગયો હતો.આ કાર્યક્રમમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ પણ થતો જોવા મળ્યો હતો એટલું જ નહીં અહી સરકારી અને રાજકીય કાર્યક્રમ પર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં ઉચ્ચ કક્ષાના નેતાઓ તેમાં જોડાય પોતાની ઉદ્ઘાટન કરવાની ઘેલછા છતી કરી હતી. કાર્યક્રમમાં અનેક લોકો ઉપસ્થિત રહ્યા હોય કોવિડ ગાઈડલાઇનના ધજાગરા ઊડ્યાં હતા.


