નવી દિલ્હી તા.6 : દેશમાં બિહારની ચૂંટણીના પરિણામો બાદ ભાજપ તેની રાજયની ચૂંટણી અંગેની વ્યુહરચના ફેરવે તેવા સંકેત છે.2014ની લોકસભા ચૂંટણીમાં જવલંત વિજય અને 2017 સુધી રાજયોની ચૂંટણીમાં ભાજપને સતત સફળતા મળી હતી પરંતુ ગુજરાતની ચૂંટણીથી ભાજપની આ વિજયયાત્રાને બ્રેક લાગી ગઈ હતી. અને 2018માં પક્ષે રાજસ્થાન,મધ્યપ્રદેશ,છતીસગઢ અને ત્યારબાદ ઝારખંડ,હરીયાણા જેવા રાજયમાં સતા ગુમાવી હતી તથા દક્ષિણના રાજયોમાં પણ આંધ્રપ્રદેશમાં પક્ષને સફળતા મળી નહી અને હવે બિહારની ચૂંટણીમાં ભાજપનું મીકસ મોડેલ કેટલું સફળ થાય છે તેના પર નજર છે અને જો તેમાં કોઈ આંચકો લાગશે તો ભાજપ ફરી એક વખત હિન્દુત્વ પર જાય તેવા સંકેત છે.ખાસ કરીને આગામી વર્ષે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે અને ત્યારબાદ ઉતરપ્રદેશ તથા ગુજરાત સહિતના રાજયો 2022માં ચૂંટણીમાં જઈ રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય કક્ષાએ સફળ થઈ શકે છે પરંતુ રાજયકક્ષાએ મોદી મોડેલ કામ આવતુ નથી તે જોતા અત્યારથી જ હિન્દુત્વની ધાર સજાવવાનું શરુ કરી દીધુ છે અને ફરી એક વખત વિશ્ર્વ હિન્દુ પરિષદ કે જેણે અગાઉ રામમંદિર મુદો ચગાવીને ભાજપને દિલ્હી પહોંચવામાં મદદ કરી હતી તેવી જ રીતે હવે પ્રાદેશિક ચૂંટણીઓમાં પણ ભાજપ ધર્માન્તર લવ જેહાદ,મઠ અને મંદિર સુરક્ષા ઉપરાંત કાશી,મથુરાના મંદિરોનો મુદો ચગાવી શકે છે.સૂત્રોના જણાવ્યા મુજબ તા.9-10 નવેમ્બરમાં દિલ્હીમાં વિશ્ર્વ હિન્દુ પરિષદની જે ધર્મ સંસદની બેઠક યોજાઈ રહી છે તેમાં આ માટેની બ્લુપ્રિન્ટ બની જશે.વિશ્વહિન્દુ પરિષદ દ્વારા રામમંદિર નિર્માણનું કામ ફકત હવે એક પ્રક્રિયા બની રહી છે અને તેથી વધુ અસરકારક મુદાઓની શોધમાં છે અને તેથી હવે વધુ હિન્દુત્વના મુદાઓ ઉઠાવી શકે છે જે ભાજપને આગામી રાજયોની ચૂંટણીમાં મદદરૂપ બનશે.