ચારે તરફ ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્રિપાખીયો જંગ જામ્યો છે ત્યારે ત્રણેય પાર્ટીઓ જોરશોરથી પ્રસાર પ્રસાર કરી રહી છે.ભાજપ પણ નવો રેકોર્ડ બનાવવા માટે કમર કસી રહ્યો છે પરંતુ વાઘોડિયા બેઠક ભાજપનું બીપી વધઘટ કરાવી રહી છે.ભાજપના બે વિદ્રોહીઓ વાઘોડિયા બેઠક ઉપરથી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.ભાજપ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના અને પાર્ટીએ વડોદરાના જિલ્લા અધ્યક્ષ અશ્વિન પટેલને ઉમેદવાર બનાવ્યા છે જોકે મધુ શ્રીવાસ્તવના કારણે અશ્વિન પટેલની જીત મુશ્કેલ બની શકે છે.
મધુ શ્રીવાસ્તવ ચૂંટણીના અખાડા માંથી બહાર હોય તે વાત જ આશ્ચર્ય પમાડનારી છે એવું સ્થાનિકોનું માનવું છે.સ્થાનિકો આ મત ધરાવતા હોય ત્યારે અન્ય ઉમેદવારને જીતવું ચોક્કસ મુશ્કેલ બની જાય છે.પટેલના વોટમાં ભાગ પડી શકે છે અને આ લડાઈ એક નવા જ પરિણામને જન્મ આપે એવું બની શકે છે.જેમાં રાજકીય વિશ્લેષકો પાર્ટીઓના ગણિત પણ ખોટા સાબિત થઈ શકે છે.આ વખતે એવો જંગ છે કે કોઈપણ અંદાજ કરવો ભૂલ ભરેલો સાબિત થઈ શકે છે.
લોકોની લાગણીને વશ થઇને મેં ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ : મધુ વાસ્તવ
વાઘોડિયા વિધાનસભા બેઠકના અપક્ષ ઉમેદવાર મધુભાઇ શ્રીવાસ્તવ પ્રચાર વખતે પોતાની આગમી અદામાં કહે છે કે, ”પીછેહઠ કરવાનું કામ આપણું નહીં દોસ્તો,હથિયાર હેઠા મુકું એટલો કાયર નથી દોસ્તો.
લાગણીને વશ થઇને મેં ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું
આ તો પ્રેમથી બે શબ્દો કહ્યાં એટલે એમની સાથે રહ્યો,બાકી મિજાજ તો મારો એટલો જ દબંગ છે દોસ્તો.વાઘોડિયાની જનતાની લાગણીને વશ થઇને મેં ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું છે.છેલ્લી પાંચ ટર્મની જેમ આ વખતે પણ વાઘોડિયાના મતદારો મને જીતાડશે.આજે આમ આદમી પાર્ટીના વાઘોડિયાના લગભગ ૫૦થી વધુ કાર્યકર્તા મધુભાઇના સમર્થનમાં આવ્યા હતા.જેમાં પ્રફુલ્લ ગોહિલ,મહેશ પરમાર,રાકેશ ચૌહાણ,સતીશ ચૌહાણ,જીતેન્દ્ર પરમાર,હરેશ પરમાર અને બિપીન ચૌહાણનો સમાવેશ થાય છે.
બે બળવાખોરો અપક્ષ અને એક કોંગ્રેસ ઉમેદવાર,વાઘોડિયા બેઠક પર ભાજપ પરેશાન
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજ્યનું રાજકારણ ગરમાયું છે.દરમિયાન રાજ્યમાં એક બેઠકની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે.વાઘોડિયા બેઠક જ્યાં ભાજપના બે બળવાખોરો તેના મતોમાં ખાડો પાડી શકે છે.બંને બળવાખોરોએ દાવો કર્યો છે કે જો તેઓ જીતશે તો તેઓ પાર્ટીને સમર્થન આપશે.અપક્ષ તરીકે ચૂંટણી લડી રહેલા બળવાખોરોના આ દાવા વચ્ચે શાસક પક્ષના સત્તાવાર ઉમેદવાર માટે જીતનો માર્ગ સરળ દેખાઈ રહ્યો નથી.
અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ બેઠક પરથી છ વખતના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બળવાખોર બનીને અપક્ષ તરીકે મેદાનમાં ઉતર્યા બાદ ભાજપના ઉમેદવાર અશ્વિન પટેલ માટે રસ્તો મુશ્કેલ બની ગયો છે.શ્રીવાસ્તવના સ્થાને ભાજપના વડોદરા જિલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપવામાં આવી છે.શ્રીવાસ્તવની સાથે ભાજપના નેતા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બળવાખોર બનીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હોવાથી સ્પર્ધા રસપ્રદ બની છે.શ્રીવાસ્તવ અને વાઘેલા બંને “દબંગ અને બાહુબલી” નેતાની છબી ધરાવે છે.ભાજપે તેના સત્તાવાર ઉમેદવાર પટેલની પાછળ તમામ તાકાત લગાવી હોવા છતાં મત વિભાજનની શક્યતા નકારી શકાતી નથી.
ભાજપના બે બળવાખોરોના ફોર્મ મંજૂર થતાં વાઘોડિયા સીટ પર ચતુષ્કોણિય,પાદરા સીટ પર ત્રિપાંખિયો જંગ નિશ્ચિત
વડોદરા જિલ્લાની 5 બેઠકોના આજે ઉમેદવારીપત્રોની ચકાસણી બાદ વાઘોડિયા અને પાદરા સીટના ભાજપના બંને બળવાખોર ઉમેદવારોના આજે ફોર્મ મંજૂર થતાં બંને સીટ પર રસાકસી જામશે.વડોદરા જિલ્લાની ત્રણ સીટ પર ભાજપના આગેવાનોએ બળવો કરતાં કેન્દ્રના ગૃહમંત્રીએ ડેમેજ કંટ્રોલ માટે કમાન સંભાળી હતી.જેમાં કરજણના બળવાખોર માની ગયા હતા.પરંતુ પાદરા અને વાઘોડિયાના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી કરી હતી.
19 નવેમ્બરના રોજ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા દરમિયાન વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું ભાજપમાંથી ભરેલું ફોર્મ મેન્ડેટને અભાવે રદ થયું હતું.પરંતુ અપક્ષ તરીકે ભરેલું ફોર્મ મંજૂર થયું હતું.આ જ રીતે પાદરાના પૂર્વ ધારાસભ્ય દીનેશભાઇ પટેલે (દીનુમામા) અપક્ષ તરીકે ભરેલું ફોર્મ પણ મંજૂર થયું હતું.આમ ભાજપના બંને બળવાખોરોના ફોર્મ મંજૂર થતાં ઉપરોક્ત બંને સીટ પર રસાકસીભર્યો જંગ જામશે.પાદરામાં ભાજપ,કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે ત્રિપાંખિયો જંગ તેમજ વાઘોડિયામાં ભાજપ-કોંગ્રેસ અને બે અપક્ષ મળી ચતુષ્કોણિય જંગ નિશ્ચિત બન્યો છે.
ભાયલી- બિલમાં નિષ્ક્રિય રહેલા ભાજપના શૈલેશ સોટ્ટાનો વિરોધ,સોટ્ટાની છાવણીમાં ગભરાટ
વડોદરા જિલ્લાની ડભોઇ બેઠકના ભાજપના ઉમેદવાર શૈલેશ સોટ્ટાની ધારાસભ્ય તરીકેની નિષ્ક્રિયતા બદલ ડભોઇ બેઠકમાં સમાવિષ્ટ વડોદરા નજીકના ભાયલી-બિલ વગેરે વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને હાઇરાઇઝડ ફ્લેટના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે.આ ચૂંટણીમાં તેઓએ ‘નોટા’ ને મત આપવાનો નિર્ણય કરી લીધો છે.આ સંદર્ભે ઠેકઠેકાણે બેનરો લટકાવી દીધા છે.
– ભાયલી-બિલની રેલીમાં નારાજ સ્થાનિક લોકો જોડાયા નહીં,બહારના માણસોને રેલીમાં રાખવા પડયા
– આશરે ૩૨ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશો ‘નોટા’નું શસ્ત્ર ઉગામવાના હોવાથી રાજકીય ગરમાવો આવ્યો છે.
ભાયલી – બિલ વિસ્તારમાં રેલી
સોટ્ટાએ ભાયલી – બિલ વગેરે વિસ્તારમાં પ્રચારાર્થે રેલી રાખી હતી. જેમાં સ્થાનિક રહીશો સોટ્ટાની નિષ્ક્રિયતાને લીધે જોડાયા જ ન હતા.જેના કારણે સોટ્ટાની છાવણીમાં ગભરાટ જોવા મળ્યો હતો.રેલીમાં બહારના માણસોને રાખવામાં આવ્યા હતા અને ઝડપથી રેલી આટોપી લેવામાં આવી હતી. રેલીના રૃટ પર ઠેરઠેર ”બસ હવે તો ‘નોટા’નો જ વિકલ્પ” તેવા લખાણ સાથેના બેનરો લટકતા જોવા મળ્યા હતા.ખાસ તો ભાયલી અને બિલ ગામના વિસ્તારોનો અશાંત ધારા હેઠળ સમાવેશ કરવા અગાઉ વખતોવખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સોટ્ટા દ્વારા નિષ્ક્રિયતા દાખવતા રહીશોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
રહીશો કહે છે કે હવે ખૂબ થઇ હિંદુ હિતોની વાતો..
સ્પ્રિંગવ્યૂ,રેસિડેન્સી, સિધ્ધિવિનાયક,નિલામ્બર ઓર્નેટ,હાર્મની રેસિડેન્સી સહિત ૩૨ સોસાયટીઓ અને એપાર્ટમેન્ટના રહીશોની નારાજગી જોઇને ચોંકી ઊઠેલા ભાજપવાળાઓએ જિલ્લા ચૂંટણીતંત્રને ફોન કરીને દોડાવ્યા હતા,તેમ જાણવા મળ્યું છે.ચૂંટણી તંત્રમાંથી અધિકારીઓ આ વિસ્તારમાં પહોંચ્યા હતા અને ચૂંટણીનો બહિષ્કાર કેમ કરો છો તેવા સવાલ કરીને નિવેદનો લીધા હતા.જોકે મતદારોએ જણાવ્યું હતુું કે અમે બહિષ્કાર નથી કરવાના ‘નોટા’નો ઉપયોગ કરવાના છીએ.