– રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રીએ સરકારની યોજનાની જાણકારી આપી રોડ એવા હોવા જોઇએ કે જેના પર લોકો ચાલતા હોય ત્યારે જાણે કોઈ સુંદર સફર પર નિકળ્યા હોય તેવું લાગે ભારતમાં દર વર્ષે 1.5 લાખ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે,આંકડો યુદ્ધમાં માર્યા ગયેલા કરતા પણ વધુ
નવી દિલ્હી : કેન્દ્રીય રોડ અને ટ્રાંસપોર્ટેશન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેમનું લક્ષ્ય 2024 સુધી ભારતીય રોડને અમેરિકા જેવા બનાવી દેવાનું છે.મંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ભારતીય રોડને વધુ સારા બનાવવાની યોજના પર કામ કરી રહી છે.એવા રોડ બનાવવામાં આવશે કે તેના પર ચાલીએ ત્યારે એવુ લાગે કે જાણે કોઇ સંુદર સફર પર નિકળ્યા હોઇએ.
બુધવારે રાજ્યસભાને જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર 2024ના અંત સુધીમાં ભારતીય રોડના મૂળભૂત માળખામાં ફેરફાર કરીને તેને અમેરિકા જેવા બનાવી દેશે.આ માટે હાલ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.રાજ્યસભામાં એક સવાલનો જવાબ આપતી વેળાએ ગડકરીએ આ દાવો કર્યો હતો.
તેમણે હાલ રોડ વિકાસ માટે જે સમસ્યાઓ સામે આવી રહી છે તેની જાણકારી આપી હતી.તેમણે કહ્યું હતું કે રોડના વિકાસ માટે હાલ મૂળભૂત માળખાની ખામીઓ જ એક માત્ર સમસ્યા નથી. રોડ એન્જિનિયરિંગ,ઓટોમોબાઇલ એન્જિનિયરિંગ,લોકોમાં જાગૃતિ,શિક્ષણ જેવા અન્ય મહત્વના મુદ્દાઓ પણ છે.
કેંદ્રીય મંત્રીએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે ભારતમાં લોકો બહુ જ સરળતાથી ડ્રાઇવિંગ લાઇસેંસ મેળવી લે છે.તેમણે રોડ અકસ્માત અંગે જાણકારી આપતા કહ્યું હતું કે દર વર્ષે આશરે 1.5 લાખ લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે.આ આંકડો યુદ્ધમાં માર્યા ગયેલા લોકો કરતા પણ વધુ છે.
લાલુએ કહ્યું હતું કે હેમા માલિનીના ગાલ જેવા રોડ બનાવી દઈશું
રોડને સારા બનાવવાના દાવા અગાઉ અનેક નેતાઓ કરી ચુક્યા છે પણ તેનો અમલ નથી થઇ શક્યો.એક વખત પૂર્વ રેલવે મંત્રી લાલુ પ્રસાદ યાદવે પણ કટાક્ષમાં આવુ નિવેદન કર્યું હતું.બે દસકા પહેલા લાલુ પ્રસાદ યાદવે દાવો કર્યો હતો કે બિહારના રોડ બોલિવૂડ અભિનેત્રી હેમા માલિનીના ગાલ જેવા બનાવી દઇશું.
ગયા વર્ષે મહારાષ્ટ્રના મંત્રી ગુલાબરાવ પાટિલે પણ કહ્યું હતું કે મારા મત વિસ્તારના રોડ હેમા માલિનીના ગાલો જેવા છે.જેને પગલે આ અંગે બાદમાં હેમા માલિનીએ પણ જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે લાલુ પ્રસાદ યાદવે આ ટ્રેંડ શરૂ કર્યો હતો.લાલુના આ નિવેદન બાદ ભારે વિવાદ પણ થયો હતો.જોકે બાદમાં લાલુએ સ્વબચાવમાં દાવો કર્યો હતો કે મારા નિવેદનને ખોટી રીતે લેવામાં આવી રહ્યું છે.