ટારૌબા (ટ્રિનિદાદ) : ભારતીય અંડર 19 ટીમના કેપ્ટન યશ ધૂલ અને વાઈસ કેપ્ટન શેખ રાશીદ તેમજ ટીમના ચાર અન્ય ખેલાડીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.ભારતીય ટીમના છ ખેલાડીઓ એકસાથે કોરોના સંક્રમિત થતા બુધવારે વર્લ્ડ કપમાં ગ્રુપ બીની આયરલેન્ડ સામેની મેચ ગુમાવવી પડી હતી.
ધૂલ અને રાશિદ ઉપરાંત બેટ્સમેન આરાધ્ય યાદવ,વાસુ વત્સ,માનવ પરખ અને સિદ્ધાર્થ યાદવ પણ કોરોનાની ઝપેટમાં આવી ગયા હતા જેને પગલે ભારત આયરલેન્ડ સામે મહામુસિબતે પ્લેઈંગ ઈલેવન મેદાનમાં ઉતારી શકી હતી.
બોર્ડના એક સૂત્રએ જણાવ્યું હતું કે,મંગળવારે ભારતની અંડર-19 વર્લ્ડ કપ ટીમના ત્રણ ખેલાડીઓ પોઝિટિવ આવ્યા હતા અને તેમને તાત્કાલિક આઈસોલેટ કરવામાં આવ્યા હતા.ત્યારબાદ બુધવારે સવારે કેપ્ટન અને વાઈસ કેપ્ટનના રેપિડ એન્ટિજેન ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.રેપિડ ટેસ્ટને હાલમાં નિર્ણાયક નથી ગણવામાં આવી રહ્યા પરંતુ સુરક્ષાની દ્રષ્ટિએ તેમને પણ મેચમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા.કુલ છ ખેલાડીઓ આઈસોલેટ થતા ફક્ત 11 ખેલાડીઓ જ બચ્યા હતા.દક્ષિણ આફ્રિકા સામે પ્રારંભિક મુકાબલો જીત્યા બાદ આયરલેન્ડ સામેની બીજી મેચમાં ધૂલની ગેરહાજરીમાં નિશાંત સિંધુને કપ્તાન બનાવવામાં આવ્યો હતો.હવે શનિવારે ભારતની અંડર-19 ટીમનો મુકાબલો યુગાન્ડા સામે છે ત્યારે ખેલાડીઓ કોરોનાગ્રસ્ત આ મેચ રમાડવામાં આવશે કે કેમ તે જોવું રહેશે.
અગાઉ આઈસીસીના હેડ ઓફ ઈન્ટિગ્રિટી એલેક્સ માર્શલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ટુર્નામેન્ટમાં ટીમમાં ફક્ત આરટી-પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવવાથી મેચ આપોઆપ મોકૂફ રાખવામાં નહીં આવે.યોગ્ય સતર્કતા સાથે રમત રમવાનું ચાલુ રાખવાનો મૂળ ઉદ્દેશ રહેશે.