છેલ્લા કેટલાક દિવસથી દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ હોવા છતાં કોરોનાના સંક્રમિત કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના ભરડામાં અનેક જીવન હોમાઈ રહ્યા છે. ભારતમાં કુલ 2500થી વધુ કેસ નોંધાયા છે અને મોતનો આંક 72 પહોંચ્યો છે. 4 દિવસમાં કેસ 1000થી 2000 પહોંચ્યા છે. એટલે કે ડબલ થયા છે. દેશમાં કુલ સંખ્યા 2069 સુધી પહોંચી છે. તેમા 55 વિદેશી નાગરિકો છે. ઉલ્લેખનીય છે કે તબલીગી જમાતના બેજવાબદારી ભર્યા પગલાંને કારણે પણ સંક્રમણ ફેલાઈ રહ્યું છે. હાલમાં 9000 જેટલા લોકોને કોરોનાના સંક્રમણનું જોખમ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ જ રીતે ગુજરાતમાં પણ કોરોનાનો આંક 95 પહોંચ્યો છે અને અહીં 8 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં વધ્યો કોરોનાનો આંક, કુલ કેસ 95
એકલા અમદાવાદમાંજ નવા 7 કેસ નોંધાયા . ગુજરાતમાં કોરોનાથી વધુ એક મોત થયુ છે. આ મોતને કારણે કોરોનાથી મોતનો આંકડો 8 પર પહોંચ્યો છે.જ્યારે પોઝિટિવ કેસની સંખ્યા 95 થઈ છે. ગુજરાતમાં ગઈકાલે કોરોનાનો એક જ કેસ પોઝિટિવ મળ્યો હતો. આવનારા ચાર પાંચ દિવસમાં ગુજરાતમાં આકંડા ઉપર નીચે થઈ શકે છે. જો કે એ પછી પરિસ્થિતિ સ્ટેબલ થઈ જશે એવું તબીબોનું માનવું છે.
મહારાષ્ટ્રમાં વધુ એક દર્દીનું મોત, કુલ 21 મોત, કુલ કેસ 335
મહારાષ્ટ્રમાં કોરોનાના કારણે વધુ એકનું દર્દીનું મોત થયું છે. કોરોના વાયરસના કારણે 67 વર્ષીય દર્દીએ જીવ ગુમાવ્યો છે. જે વ્યક્તિનું મોત થયું તે ટ્યુબરક્યુલોસિસની બિમારીથી પણ પીડાતો હતો. પાલઘરમાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં કુલ 21 લોકોના મોત થયા છે. બીજી તરફ મુંબઈના ધારાવી વિસ્તારમાં વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે. 35 વર્ષના ડોક્ટરનો કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. BMCએ ડોક્ટરની સમગ્ર બિલ્ડિંગને ક્વોરેન્ટાઈન કરી છે. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી વિસ્તાર ધારાવીમાં ગુરુવારે કોરોના વાયરસ (Coronavirus) નો બીજો પોઝિટિવ કેસ નોંધવામાં આવ્યો છે. અહીં એક 54 વર્ષના સફાઇ કર્મચારીમાં કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળ્યું છે.
દિલ્હીમાં 4 જ દિવસમાં 100નો આંકડોએ પહોંચ્યો
રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. દિલ્હી આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજધાનીમાં કોરોના વાયરસના ચેપના કેસની સંખ્યા 293 પર પહોંચી ગઈ છે. આ કેસમાંથી પુરા 182 કેસ મરકઝથી આવેલા લોકો છે. હજુ સુધી ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. દિલ્હીની પરિસ્થિતિ હજી નિયંત્રણ હેઠળ હોવાનું જણાવાઈ રહ્યું હતું. જો કે, છેલ્લા 4 દિવસમાં 103 નવા દર્દીઓને કારણે સરકારની ઊંઘ ઉડી ગઈ છે. છેલ્લા 4 દિવસમાં 29 માર્ચે 23 સંક્રમિત દર્દીઓ , 30 માર્ચે 25, 31 માર્ચે 23 અને 1 એપ્રિલે 32 દર્દીઓ આવ્યા જે એક દિવસમાં સૌથી વધુ કેસીસ છે. આવી સ્થિતિમાં ચિંતા વધી રહી છે.
તબલીગી જમાતના કોરોનાના દર્દીઓની ગેરવર્તણૂંક
ગાઝિયાબાદમાં તબલીગી જમાતના કોરોનાના દર્દીઓની કરતૂત જોવા મળી. 6 દર્દીઓએ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ સાથે ગેરવર્તન કર્યુ. આઈસોલેશનમાં દાખલ કરાયેલા દર્દીઓએ ગેરવર્તન કર્યુ હોવાની ફરિયાદ કરવામાં આવી છે. MMG હોસ્પિટલના નર્સિંગ સ્ટાફની ફરિયાદ આધારે પોલીસ કાર્યવાહી કરી રહી છે.
દેશમાં કોરોના વાયરસની સ્થિતિ પર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કર્યા આંકડા
વિશ્વમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે ભારત પણ તેમાથી બાકાત નથી રહ્યું. ભારતમાં આજે 328 કોરોનાના કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 152 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે. દિલ્લીના તબલીગી જમાત મામલે કેન્દ્રીય આરોગ્ય વિભાગે માહિતી આપી હતી. આરોગ્ય વિભાગના અગ્ર સસિવ લવ અગ્રવાલે આ મામલે કહ્યું કે મરકજમાં ગયેલા અલગ-અલગ રાજ્યોના કુલ 9,000 લોકોની ઓળખ થઈ ચુકી છે. જેમાંથી 1,300 લોકો વિદેશીઓ છે. તેમજ મરકજ સાથે જોડાયેલા 400 લોકોને ક્વૉરન્ટાઇન કરાયા છે.
સોનિયા ગાંધી મોદી સરકાર પર ભડક્યા, કહ્યું ‘બિન આયોજિત લૉકડાઉન’
કોરોના વાયરસ સંકટ અને લૉકડાઉનને કારણે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થઇ. આ દરમિયાન કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું કે 21 દિવસનું લૉકડાઉન જરૂરી હતું પરંતુ તેને બિન આયોજિત રીતે લાગૂ કર્યું. લૉકડાઉનને કારણે લાખો પ્રવાસી મજૂરોનું ઉત્પીડન થયું.