– નવા નાણાકીય વર્ષમાં પણ કોરોનાને કારણે ડાઉનગ્રેડ વધશેઃ ક્રિસિલ
સ્થાનિક રેટિંગ એજન્સી ક્રેસિલે કહ્યું હતું કે ભારતીય કંપનીઓનો ક્રેડિટ રેશિયો 2019-20ના બીજા છ માસિક ગાળામાં ઘટીને 3 વર્ષના તળિયે સરકી ગયો છે. તેણે નવા નાણાકીય વર્ષ 2020-21 માટે પણ નેગેટિવ આઉટલૂક આપ્યું છે અને કહ્યું છે કે કોરોના વાયરસને પગલે અપગ્રેડની સરખામણીમાં ડાઉનગ્રેડ થનારી કંપનીઓની સંખ્યા વધશે. ક્રેડિટ રેશિયો અર્થાત અપગ્રેડ થનારી કંપનીઓની સંખ્યાની સામે ડાઉનગ્રેડ થનારી કંપનીઓની સંખ્યા. સપ્ટેમ્બર 2019થી માર્ચ 2020ના છ મહિનાના ગાળામાં ક્રેડિટ રેશિયો ઘટીને 0.77 થઈ ગયો હતો, જે તે અગાઉના છ માસિક ગાળામાં 1.21 હતો. જોકે લોનની માત્રાની દૃષ્ટિએ ડેટ રેટેડ ક્રેડિટ રેશિયો વધીને 1.24 થયો હતો, જે અગાઉના છ માસિક ગાળામાં 0.25 હતો.
ક્રિસિલના મતે 2020-21 અંગેનો આશાવાદ સાધારણ છે, કારણ કે કોરોના વાયરસ ક્રાઈસીસ હજી યથાવત્ છે અને આ વાયરસ કેટલો ફેલાશે અને તેની કેટલી અસર થશે તે અનિશ્ચિત છે. કોરોનાને કારણ કે આર્થિક પ્રવૃત્તિ પડી ભાંગી છે. વળી, માનવીનો ભોગ પણ લેવાઈ રહ્યો છે અને બાકીના લોકોની તકલીફો પણ વધી ગઈ છે. ભારતમાં આવી ઘટના પહેલી વાર બની હોવાથી તેની આર્થિક અસરનો તાગ હજી મળતો નથી. ક્રિસિલે 35 સેક્ટર પર તેની અસરનું એનાલિસીસ કર્યું છે અને આ સેક્ટરમાં કુલ ~23 લાખ કરોડનું દેવું થઈ જશે તેવો અંદાજ છે. તેણે લોકડાઉનનો 2 મહિનાનો સમયગાળો ગણ્યો છે અને સ્થિતિ સામાન્ય થતા બીજો એક મહિનો લાગશે તેવી ગણતરીથી આ એનાલિસીસ કર્યું છે.
રેટિંગ એજન્સીના મતે જૂન પછી આર્થિક પ્રવૃત્તિ રાબેતા મુજબની થશે તેવો અંદાજ છે. તેના મતે ઓટો ડીલર્સ, જેમ્સ-જ્વેલરી બિઝનેસ કરતી કંપનીઓ, એરલાઈન્સ, રિયલ એસ્ટેટ અને સ્ટીલ સેક્ટર પર વધારે અસર થશે કારણ કે આ સેક્ટરની બેલેન્સ શીટમાં વધુ ડેટ છે.ટેલિકોમ અને એફએમસજી જેવા કેટલાક સેક્ટર માટે આ ક્રાઈસીસ એક અવસર બન્યો છે અને તેમને ફાયદો થવો જોઈએ. તેણે ઉમેર્યું કે ડેટ હેઠળના 15 સેક્ટરમાં 44 ટકા કંપનીઓ દેવું સહન કરી શકે તેમ છે, 52 ટકા કંપનીઓને મુશ્કેલી પડશે. પાંચ સેક્ટરમાં કંપનીઓ આ ક્રાઈસીસ સામે ટકી શકે તેવી સ્થિતિમાં નથી.જોકે ક્રિસિલના મતે નોનબેન્કિંગ ફાઈનાન્શિયલ કંપની(એનબીએફસી) પાસે આગામી બે મહિના માટે રિપેમેન્ટ સંબંધિત પૂરતી લિક્વિડિટી છે, જે મોટી રાહત સમાન છે. રિઝર્વ બેન્કે મે 2020 સુધી રિપેમેન્ટમાં જે મોરેટોરિયમનો વિકલ્પ આપ્યો છે તેને કારણે મોટાભાગના રેટેડ પાસ થ્રુ સર્ટિફિકેટ્સ કલેક્શનમાં ઘટાડાને પહોંચી વળાશે. તેણે ઉમેર્યું કે કોરોનાને કારણે બેન્કોની એનપીએ વધશે, પરંતુ હાલના તબક્કે તેનો અંદાજ કાઢી શકાય તેમ નથી. વિવિધ એસેટ ક્લાસ્માં એસેટ ક્વોલિટી પર અલગ-અલગ અસર પડશે.