નવી દિલ્હી : ભારતી એરટેલની પ્રમોટર કંપની ભારતી ટેલિકોમ ઈક્વિટી વેચીને 1 અબજ ડોલર ઊભા કરવા વિચારી રહી છે.કંપની સંપૂર્ણપણે ડેટ ફ્રી બનવા માટે ઈક્વિટી વેચશે તેમ સૂત્રોએ કહ્યું હતું.ભારતી ટેલિકોમ 2.75 ટકા ઈક્વિટી હિસ્સો શેરદીઠ રૂ.558ના ભાવે વેચશે તેમ સૂત્રોએ કહ્યું હતું.આ માટે કંપનીએ જેપી મોર્ગનને કામ સોંપ્યું છે.કંપની 15 કરોડ ઈક્વિટી શેર રૂ.558ના ભાવે વેચશે,જે 22 માર્ચના તેના બંધ ભાવ રૂ.593.2 કરતાં 6 ટકા ડિસ્કાઉન્ટમાં છે.1 અબજ ડોલરની રકમ ઊભી કરીને ભારતી એરટેલની પ્રમોટર ડેટ ફ્રી બની જશે.તે ભારતી એરટેલમાં 41 ટકા હિસ્સો ધરાવે છે.વિદેશી પ્રમોટર એન્ટિટી 21.46 ટકા હિસ્સો ધરાવે છે.પબ્લિક હોલ્ડિંગ 37 ટકા જેવું છે.સુનિલ ભારતી મિત્તલ અને તેમનું ફેમિલી ભારતી ટેલિકોમમાં 52 ટકા હિસ્સો ધરાવે છે.