પશ્ચિમ બંગાળની તૃણમૂલ સરકારનાં બે મંત્રીઓ સહિત 4 નેતાઓની ધરપકડએ હવે રાજકીય વળાંક લીધો છે.આ ધરપકડને ભાજપ દ્વારા પ્રાયોજિત ગણાવી ટીએમસી કાર્યકરોએ હોબાળો મચાવ્યો છે.એટલું જ નહીં,તૃણમૂલ કોંગ્રેસનાં કાર્યકરો સોમવારે બપોરે સીબીઆઈ ઓફિસની બહાર આવી ગયા હતા અને વિરોધમાં પથ્થરમારો પણ કર્યો હતો.
હાલમાં સીબીઆઈ ઓફિસનો મુખ્ય દરવાજો કોઇપણ પ્રકારનાં ઉપદ્રવની સંભાવનાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં આવ્યો છે.આ ઉપરાંત સીબીઆઈ ઓફિસની અંદર અને મુખ્ય દરવાજાની બહાર કેન્દ્રીય દળો તૈનાત કરવામાં આવ્યા છે.સીબીઆઈ વતી,નારદા સ્ટિંગ કેસમાં સોમવારે સવારે,બંગાળ સરકારનાં મંત્રીઓ ફિરહાદ હાકીમ,સુબ્રત મુખર્જી અને ધારાસભ્ય મદન મિત્રાની ધરપકડ કરવામાં આવી છે.આ ધરપકડનાં વિરોધમાં ખુદ સીએમ મમતા બેનર્જી સીબીઆઈ ઓફિસ પહોંચી ગયા છે.સોમવારે સવારે એજન્સીએ આ નેતાઓનાં ઘરે દરોડા પાડ્યા હતા અને તેઓને તેમની ઓફિસોમાં લઇને આવ્યા હતા.કોલકાતાનાં પૂર્વ મેયર સોવન ચેટર્જીની પણ ધરપકડ કરવામાં આવી છે.દરમિયાન રાજ્યપાલ જગદીપ ધનખરે રાજ્યમાં બગડતા કાયદો અને વ્યવસ્થા અંગે ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધ્યું છે.
ધનખરે ટ્વીટ કર્યું હતું કે, ‘બગડતી પરિસ્થિતિથી હું ચિંતિત છું.મમતા બેનર્જી સાથે વાત કરી બંધારણીય નિયમો અને કાયદાનું પાલન કરવાની માંગ કરી છે.રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસે તમામ પગલા ભરવા જોઈએ.દુર્ભાગ્યે,
સત્તાધીશો દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને પરિસ્થિતિ બગડવાની મંજૂરી આપવામાં આવી રહી છે.’ હાલમાં ટીએમસીનાં કાર્યકરો બે મંત્રીઓ સહિત ચાર ટીએમસી નેતાઓની ધરપકડનાં વિરોધમાં સીબીઆઈ ઓફિસની બહાર એકઠા થયા છે.આ દરમિયાન સીબીઆઈ દ્વારા ફિરહાદ હકીમ,સુબ્રત મુખર્જી,મદન મિત્રા અને સોવન ચેટર્જીની ધરપકડની પુષ્ટિ કરવામાં આવી છે.