સુરત : સુરતમાં કુમાર કાનાણીનો પુત્ર ફરી એકવાર વિવાદમાં આવ્યા છે.મંત્રી કુમાર કાનાણીના પુત્ર દ્વારા પવિત્ર નગર નામની સોસાયટી કામરેજ ખાતે બનાવવામાં આવી હતી.જ્યાં રહેવા આવનારા લોકોને 24 કલાક પાણી,વિજળી અને અનેક સુવિધાઓ જેવી લલચામણી ઓફર આપીને મકાન વેચી નાખ્યા હતા.જો કે સોસાયટી તૈયાર થયા બાદ જે પ્રકારનું વર્ણન હતું તેવી સુવિધાઓ આપી નહોતી.મકાનમાં પણ કહ્યા અનુસારની સગવડ નહોતી આ ઉપરાંત વિજળીના કનેક્શન જેવી સામાન્ય સગવડ પણ આપી નહોતી.
આ અંગે સોસાયટીનાં રહીશો દ્વારા વારંવાર રજુઆતો છતા વારંવાર ઠાગાઠૈયા કરવામાં આવતા હતા.વારંવાર બહાનાઓથી કંટાળેલા લોકો દ્વારા પહેલા સોસાયટી સ્તરે હોબાળો કરવામાં આવ્યો હતો.જો કે તે સમયે પોલીસે મધ્યસ્થી કરીને સમગ્ર વિવાદને થાળે પાડ્યો હતો.પરંતુ વિજ કનેક્શન ફરી નહી આવતા આખરે લોકો એકત્ર થઇને કુમાર કાનાણીના ઘરે જ હલ્લાબોલ કર્યો હતો.તેના ઘરની બહાર હોબાળો થતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.સુરત જેવા શહેરમાં સોસાયટીમાં વિજ કનેક્શન જેવી સગવડ નહી હોવાનું કદાચ કોઇને પણ માન્યામાં ન આવે.જો કે આ વાસ્તવિકતા છે.
સમગ્ર મુદ્દે સ્થાનિકો દ્વારા કાનાણીના ઘર બહાર હોબાળો કરવામાં આવતા પોલીસ આવી પહોંચી હતી.પોલીસે વચ્ચે પડીને મધ્યસ્થી કરી હતી.જો કે હવે લોકો પણ લડાયક મુડમાં છે.અગાઉ પણ પોલીસ દ્વારા મધ્યસ્થી કરીને મામલો થાળે તો પડાયો હતો પરંતુ કોઇ નિવારણ આવ્યું નહોતું.હવે લેખીત અથવા નક્કર બાંહેધરી ન મળે ત્યાં સુધી હટવાની સ્થાનિકો મનાઇ કરી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે,કુમાર કાનાણીનો પુત્ર અગાઉ પણ પોલીસ સાથે દાદાગીરી મુદ્દે વિવાદમાં આવ્યો હતો. લોકડાઉન દરમિયાન બહાર મિત્રો સાથે ફરવા નિકળવા બદલ અને પોલીસ કોન્સ્ટેબલ દ્વારા અટકાવવામાં આવતા ગેરવર્તણુંક કરવા મુદ્દે હોબાળો કર્યો હતો.


