પણજી : તા.07 જુલાઈ 2022 : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે રાજ્યમાં હિંદુઓના ધર્માંતરણ પર સંપૂર્ણપણે લગામ કસવાનો દાવો કર્યો છે.તેમણે જણાવ્યું કે,સરકારે 100 દિવસની અંદર જ તટીય રાજ્યમાં ધર્માંતરણ પર રોક લગાવી છે.મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે બુધવારે એક કાર્યક્રમ દરમિયાન પુસ્તકનું લોન્ચિંગ કર્યું હતું જેમાં ‘ભાજપની ડબલ એન્જિનની સરકાર’ના કામ અંગે જણાવવામાં આવ્યું છે.
પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે,’અમારી સરકારે ધર્માંતરણ મામલે આકરૂં વલણ અપનાવ્યું છે.અમે હિંદુઓના ધર્માંતરણને અટકાવ્યું… જે પહેલા થઈ રહ્યું હતું.’ખાસ વાત એ છે કે,અગાઉ પણ તેમણે રાજ્યના લોકોને ધર્માંતરણ અંગે સતર્ક રહેવાની સલાહ આપી હતી. સાવંતે કહ્યું હતું કે,’વર્ષોથી ચાલી રહેલા ધર્માંતરણને અટકાવવામાં આવ્યું છે… અમે ગેરકાયદેસર જમીન અધિગ્રહણ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.’
ઉલ્લેખનીય છે કે,માર્ચ મહિનામાં સંપન્ન થયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 40 બેઠકો ધરાવતા રાજ્યની 20 બેઠકો પર વિજય મેળવીને સત્તા જાળવી રાખી હતી.તે સિવાય અન્ય કેટલાક અપક્ષે પણ ભાજપને સમર્થન આપ્યું હતું.જ્યારે 12 બેઠકો સાથે કોંગ્રેસ બીજા ક્રમે રહી હતી.