નવી દિલ્હી : ફ્રાન્સમાં અમુક નિર્દોષોની હત્યા મામલે અભિપ્રાય વ્યક્ત કરતા જાણીતા શાયર મુનવ્વર રાણાએ વિવાસ્પદ નિવેદન આપ્યું હતું.તેમણે ફ્રાન્સ હુમલામાં નિર્દોષોની હત્યા કરનારા હુમલાખોરોનો બચાવ કર્યો અને તેને યોગ્ય પણ ઠેરવ્યો. મુનવ્વર રાણાએ કહ્યું હતું કે,મઝહબ માતા સમાન છે,જો કોઈ આપણાં માતા કે મઝહબનું ખરાબ કાર્ટૂન બનાવે કે અપશબ્દો બોલે છે તો તેની હત્યા કરવી ગુનો નથી.
મુનવ્વર રાણાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વડા પ્રધાન મોદીએ આજે ફ્રાન્સમાં હુમલાને સમર્થન આપનારાઓને નિશાન બનાવ્યા હતા.પીએમ મોદીએ કહ્યું હતું કે,આતંકવાદ અને હિંસાથી ક્યારેય કોઈનું કલ્યાણ થયું નથી.જોકે પ્રખ્યાત શાયર પોતાના નિવેદન મામલે આટલે જ અટક્યા નહોતા,તેમણે મઝહબને માતૃભૂમિથી ઉપર ગણાવ્યો છે અને કહ્યું હતું કે, ‘ચીન સાથે આપણો સરહદી વિવાદ છે અને ફ્રાન્સ સાથે મઝહબનો છે.’
મુનવ્વર રાણાએ આ સાથે અન્ય એક જાણીતા શાયર કુમાર વિશ્વાસને “થર્ડ ક્લાસ શાયર’ કહ્યા હતા.તેમણે કુમાર વિશ્વાસને ત્રીજા દરજ્જાના શાયર ગણાવતાં કહ્યું હતું કે, ‘કુમાર વિશ્વાસ ન તો સોનું છે ન તો ચાંદી છે, તે તો તાંબું છે,જે મંચ પર તુકબંધી (જોડકણા) કરે છે.કુમાર વિશ્વાસ તો શાયરીના અર્ણવ ગોસ્વામી છે.’ફ્રાન્સમાં છેલ્લા કેટલાક સમયથી અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના હિમાયતીઓ અને ઈસ્લામિક ધાર્મિક પાબંદના હઠાગ્રહીઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.અગાઉ ચાર્લી હેબ્દો નામના સામયિકે પયગંબરનું કાર્ટૂન પ્રસિદ્ધ કરીને વિવાદ છેડ્યો હતો.એ પછી સામયિકની ઓફિસ પર આતંકી હુમલો થયો હતો અને એમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યો હતો. એ પછી નિયમિત રીતે આ મુદ્દે હિંસા થતી રહી છે.
ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુએલ મેક્રોને ધર્માંધ તત્ત્વો સામે કડક નિવેદન કર્યું હતું. મેક્રોનના નિવેદન પછી દુનિયાભરનાં મુસ્લિમ રાષ્ટ્રોમાં ફ્રાન્સ સામે કડવાશ ઊભી થઈ છે. ભારતમાં પણ ભોપાલ, હૈદરાબાદ સહિત વિવિધ સ્થળોએ ફ્રાન્સવિરોધી પ્રદર્શનો થયાં છે.