નવી દિલ્હી : કેરળ સ્થિત નામાંકિત નોન બેકિંગ ફાઇનાન્સ કંપની મણપ્પુરમના એમડી અને સીઇઓ વી પી નંદાકુમારની ૧૪૩ કરોડ રૂપિયાની મિલકતો ફ્રીઝ કરી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
કંપનીના હેડકવાર્ટર સહિત થ્રિસુરમાં કુલ છ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે જાહર જનતા પાસેથી ગેરકાયદે ડિપોઝીટ એક્ત્ર કરવા બદલ તેમની વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
ઇડીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેમણે ગેરકાયદે ડાયવર્ટ કરેલી રકમ પોતાના નામે તથા પત્ની અને બાળકોના નામે સ્થિર મિલકતો ખરીદી હતી અને મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરોમાં રોકાણ કર્યુ હતું.પુરાવા મળ્યા પછી ઇડીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ઇડીએ વી.પી નંદાકુમારની મિલકતો ફ્રીઝ કરી હતી.
ફ્રીઝ કરવામાં આવેલી મિલકતોમાં આઠ બેંક ખાતામાં જમા રકમ,લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણ અને મણપ્પુરમ ફાઇનાન્સ લિમિટેડના શેરોનો સમાવેશ થાય છે.ઇડીના જણાવ્યા અનુસાર તપાસ દરમિયાન કુલ મિલકોતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતાં.ઉલ્લેખનીય છે કે આ કંપની સોના પર લોન આપે છે.