અમદાવાદ : મણિનગર ખાતે આવેલી નેશનલ સ્કૂલ દ્વારા ધો.11માં પ્રવેશ ફુલ થઈ ગયા હોવાનું જણાવી સ્કૂલના જ 70 ટકા કરતા વધુ લાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપતા હોબાળો થયો છે.વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપ દ્વારા વાલીઓ સાથે સ્કૂલ પર જઈને હોબાળો મચાવ્યો હતો.જેના પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.આ મુદ્દે સ્કૂલમાં રજૂઆત કરવામાં આવ્યા બાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી વિરોધ ચાલુ રાખવાની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
ધો.10નું પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓના હાથમાં માર્કશીટ આવે તે પહેલા જ મણિનગર વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ દ્વારા એડમિશન ફુલ થઈ ગયા હોવાની જાહેરાત કરતા ધો.10માં 70 ટકા કરતા વધુ ગુણ લાવનારા વિદ્યાર્થીઓ રખડી પડ્યા છે.ખરેખર પોતાની સ્કૂલમાં જ ભણેલા વિદ્યાર્થીઓને ધો.11માં પ્રવેશની તક આપવી જોઈએ,પરંતુ સ્કૂલ દ્વારા 70 ટકા કરતા વધુ લાવનારા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ ફાળવ્યો ન હોઈ ભારે રોષ ફેલાયો છે.આ મુદ્દે વિદ્યાર્થી વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ જ્યોર્જ ડાયસે સ્કૂલ પર તેમજ ડીઈઓ કચેરીમાં પણ રજૂઆત કરી છે.
સ્કૂલ ખાતે વાલીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે સ્કૂલના સંચાલકો ત્યાંથી જતા રહ્યા હતા.જેથી વાલીઓ સાથે તેમણે હોબાળો મચાવતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.સ્કૂલ પર આચાર્ય જતાં રહેતા તેમના બદલે અન્ય કર્મચારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.ત્યારબાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે પણ સ્કૂલ વિરુદ્ધ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી.આ અંગે અગ્રણી જ્યાર્જ ડાયસે જણાવ્યું હતું કે,પૂર્વ વિસ્તારમાં માંડ પાંચેક ગ્રાન્ટેડ સ્કૂલો આવેલી છે ત્યારે આ સ્કૂલ દ્વારા પોતાની સ્કૂલના જ હોંશિયાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવી ફુલ થઈ ગયું હોવાનું જણાવી ગરીબ વિદ્યાર્થીઓને અન્યાય કર્યો છે.આ મુદ્દે જ્યાં સુધી વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે.