નવી દિલ્હી : મણિપુરના નોની જિલ્લામાં ચાલતા રેલવે બાંધકામ નજીક ભયાનક ભૂસ્ખલન થતાં આઠનાં મોત થયા હતા અને ૭૨ લાપતા થયા છે.મૃતકોમાં ટેરિટોરિયલ આર્મીના સાત જવાનોનો સમાવેશ થાય છે.મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં વીજળી પડતાં બે બાળકો સહિત ચારનાં મોત થયા હતા,પાંચને ઈજા પહોંચી છે.બીજી તરફ આસામમાં પૂરની સ્થિતિ યથાવત છે અને વધુ ૧૨નાં મોત થયા હતા.
ભારતીય સૈન્યના અધિકારીઓએ કહ્યું હતું કે મણિપુરના નોની જિલ્લામાં ટૂપલ રેલવે સ્ટેશન પાસે રેલવેનંા કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું.એ વખતે ભયાનક ભૂસ્ખલન થતાં ટેરિટોરિયલ આર્મીના સાત જવાનો સહિત આઠનાં મોત થયા હતા.૭૨ ગુમ થઈ જતાં કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.ગમ થયેલાઓમાં ૪૩ ટેરિટોરિયલ આર્મીના જવાનો છે.મોટાપાયે ભૂસ્ખલન થતાં ઈજાઈ નદી બંધ થઈ ગઈ હતી. કેટલાક લોકો નદીમાં તણાઈ ગયા હોવાનું કલેક્ટરે કહ્યું હતું. રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું.
મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આકાશી વીજળી પડવાના ચાર બનાવો બન્યા હતા.એમાં બે બાળકો સહિત કુલ ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો.પાંચને ઈજા પહોંચી છે.હવામાન વિભાગે આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યો હતો.મધ્યપ્રદેશના૧૦ જિલ્લામાં ભારે વરસાદની આગાહી થઈ છે.દરમિયાન દિલ્હીમાં બેથી ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો.
દિલ્હીમાં ભારે વરસાદ સાથે ચોમાસાનું આગમન થયું છે.ભારે વરસાદના કારણે અસંખ્ય રસ્તાઓમાં પાણી ભરાયા હતા અને રસ્તા બંધ થઈ જતાં અનેક લોકો અધવચ્ચે ફસાયા હતા.કર્ણાટકના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડયો હતો.તેના કારણે જનજીવન ઠપ થઈ ગયું હતું.મેંગ્લુરુમાં શાળા-કોલેજો વરસાદના કારણે બંધ રાખવાની જાહેરાત થઈ હતી.ચોથી જુલાઈ સુધી આ વિસ્તારોમાં યલ્લો એલર્ટ જારી કરાયો છે.આસામમાં પૂરપ્રકોપની સ્થિતિ યથાવત છે.વરસાદી અને પૂરની ઘટનાઓમાં વધુ ૧૨ લોકોએ જીવ ગુમાવ્યો હતો.ચોમાસા દરમિયાન કુલ મૃત્યુ આંક ૧૫૧ થયો હતો.૨૬ જિલ્લાના ૩૧ લાખ કરતા વધુ લોકો પૂરપ્રભાવિત બની ગયા છે.બ્રહ્મપુત્ર નદીના કાંઠે આવેલા કેટલાય જિલ્લાઓને ડેન્જર ઝોન જાહેર કરાયા છે.એ સિવાયની આસામની ઘણી નાની-મોટી નદીઓનું જળસ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.

