– ત્રણ રાજ્યોમાં જીત બાદ ભાજપના મુખ્યમંત્રીઓ,મંત્રીઓએ શપથ ગ્રહણ કર્યા
– રાજનાથસિંહ,મિનાક્ષી લેખી,પ્રહલાદ જોશી શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા,મોદીએ ટ્વિટથી શુભેચ્છા પાઠવી
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશ સહિતના પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ચારમાં ભાજપે જીત મેળવી હતી.જેને પગલે હાલ આ રાજ્યોમાં ભાજપની સરકારનું ગઠન થયું છે.આ રાજ્યોમાંથી મણીપુરમાં મુખ્યમંત્રી પદે એન.બિરેન સિંહે શપથ ગ્રહણ કર્યા હતા.તેઓ અગાઉ પણ મણીપુરના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.
એન.બિરેનસિંહની સાથે સાથે અન્ય પાંચ મંત્રીઓએ પણ કેબિનેટ મંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા.તેમને રાજ્યપાલ લા ગણેસને શપથ અપાવ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિરેનસિંહને ટ્વીટ કરીને શુુભકામના પણ પાઠવી હતી.તેમણે ટ્વીટ કર્યું હતું કે મને પુરો વિશ્વાસ છે કે બિરેનસિંહ અને તેમની ટીમ મણીપુરને એક નવી ઉંચાઇ પર લઇ જશે.
મણીપુરની જેમ જ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદે પુષ્કરસિંહ ધામીએ શપથ ગ્રહણ કર્યા હતા.તેઓ અગાઉ પણ ઉત્તરાખંડના મુખ્યમંત્રી હતા. છેલ્લા ૧૧ દિવસથી ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અનેક અટકળો ચાલી રહી હતી.તેમની શપથવીધીમાં કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહ,મિનાક્ષી લેખી અને પ્રહલાદ જોશી પણ જોડાયા હતા.ધામીની આગેવાનીમાં જ ભાજપે ઉત્તરાખંડની ચૂંટણી લડી હતી અને જીત પણ મેળવી હતી.ઉત્તરાખંડમાં ભાજપને ૭૦માંથી ૪૭ બેઠક મળી હતી.ત્રીજા રાજ્ય ગોવામાં પણ ભાજપે જીત મેળવી હતી,ગોવામાં પ્રમોદ સાવંતને આગામી મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે.આ માટે તેઓને હાલ ધારાસભ્ય દળના નેતા બનાવવામાં આવ્યા હતા.