અમદાવાદ : તા.04 જૂન 2022, શનિવાર : તાજેતરમાં જ ગુજરાતના દરિયા કિનારેથી 7 પાકિસ્તાની તસ્કરો ઝડપાયા હતા.ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે(ATS)એ આ કેસ મામલે મહત્વનો ખુલાસો કર્યો છે. ATSના અધિકારીઓના કહેવા પ્રમાણે આરોપીઓ નશીલા પદાર્થોની તસ્કરી કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા હતા પરંતુ ATSની ટીમને જોયા બાદ તેઓ ડરી ગયા હતા અને ડ્રગ્સથી ભરેલા 2 બેગ્સ તેમણે દરિયામાં ફેંકી દીધા હતા.ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ(ICG)એ ગત તા.31 મેના રોજ કચ્છ ખાતે અરબ સાગરમાં મધદરિયે ઓપરેશન પાર પાડીને એક હોડીમાંથી 7 પાકિસ્તાની નાગરિકોની કથિતરૂપે ગેરકાયદેસર રીતે ભારતીય જળમાં પ્રવેશ કરવાના આરોપસર ધરપકડ કરી હતી.ત્યાર બાદ અલ નોમાન નામની તે હોડીને દેવભૂમિ દ્વારકાના ઓખા તટ ખાતે લઈ જવામાં આવી હતી જ્યાં ભારતીય જળમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવાના આરોપસર વિદેશી અધિનિયમ અંતર્ગત આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ગુજરાત ATSના અધિકારીઓના કહેવા પ્રમાણે તે સમયે હોડીમાંથી કોઈ નશીલો પદાર્થ નહોતો મળ્યો.
ગુજરાત ATSના એક અધિકારીએ શુક્રવારના રોજ કરેલા દાવા પ્રમાણે આરોપીઓ કથિત રીતે એક હોડી દ્વારા નશીલા પદાર્થોની તસ્કરી કરવાનો અને કચ્છના જખૌ કિનારેથી ભારતીય જળક્ષેત્રમાં પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.ATSના અધિકારીઓએ ધરપકડ કરવામાં આવેલા તમામ પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરી લીધી છે અને તેઓ સૌ પાકિસ્તાનના બલૂચ પ્રાંતના ગ્વાદર બંદરગાહ ખાતેથી અલ નોમાન નામની હોડી પર સવાર થયા હતા તેમ જાણવા મળ્યું છે.