મહાઠગ કિરણ પટેલના પકડાયા પછી સચિવાલયમાં અને નેતાઓની ઑફિસોની આજુબાજુ આંટાફેરા કરતાં ઠગ કિરણો હાલ ભોંયરામાં ઉતરી ગયા છે.સચિવાલયના આધારભૂત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સચિવાલયમાં મંત્રીઓની સાથે અંગત સંબધો હોવાનું કહી કામ કાઢવાનારા કેટલાય કિરણો અવારનવાર ફરતા હોય છે ત્યારે જ્યારથી ઠગ કિરણ પટેલ કાશ્મીરમાં પકડાયો છે ત્યારથી સચિવાલયમાં ફરતા કિરણો પણ ગાયબ થઈ ગયા છે.
વધુમાં મળતી માહિતી મુજબ Gem સહિત અન્ય સરકારી કામોના કોન્ટ્રાક્ટ માટે આ કિરણો સૌથી વધુ ઍક્ટિવ હોય છે અને તેઓ નેતાઓ સાથે પોતાનો ઊંચો પરિચય બતાવી કેટલાય લોકોને ચૂનો લગાવી ચૂક્યા છે.આમના સકંજામાં ફસાવાવાળા વ્યક્તિઓ એવા ફસાય છે અને હાલ ફસાયેલા પણ છે જે પોતાની વેદના ક્યાંય કહી પણ નથી શકતા.સચિવાલયમાં થતાં ગણગણાટ પ્રમાણે વર્ષે આવા કિરણો કરોડો રૂપિયાનો વહીવટ કરી લેતા હોય છે.અહી એક વાત નોંધનીય છે કે સચિવાલયમાં ફરતા કિરણોમાં સૌથી વધુ આધેડ વયના છે.
અલબત્ત આ બધામાં મુખ્ય વાત સમજવાની એક જ છે કે, કિરણો મધમાખીના પૂડા જેવા હોય છે જેમને એક જગ્યાએથી ભગાડો તો બીજી જગ્યાએ સેટ થવામાં વધુ સમય લેતા નથી.


