મુંબઈ, તા.13 : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના નેતા પંકજા મુંડે આજે મુંબઈમાં પોતાના સમર્થકો સાથે એક મહત્ત્વની બેઠક કરશે.આ બેઠકને એટલા માટે મહત્ત્વની માનવામાં આવે છે કેમ કે સમર્થકો પંકજા ઉપર ભાજપ છોડવાનું દબાણ વધારી રહ્યા છે.અહમદનગર જિલ્લામાં પંકજાના સમર્થકોએ તો ભાજપમાંથી રાજીનામું આપીને ‘ગોપીનાથ મુંડે પાથર્ડી તાલુકા વિકાસ મોરચા’ બનાવવાનું એલાન પણ કરી દીધું છે.સોશ્યલ મીડિયા પર મુંડે સમર્થક દ્વારા લખાયેલી એક પોસ્ટ પણ વાયરલ થઈ રહી છે.
આ પોસ્ટમાં કાર્યકરોને સંબોધિત કરીને લખાયું છે કે ‘અરે રડી શું રહ્યા છો ? લડતાં શીખો. સ્વર્ગીય ગોપીનાથ મુંડેએ જીવનગર આ ચંડાલ ચોકડી સામે લડતાં પોતાની દુનિયા રચી હતી. ક્યાં સુધી ચપ્પલ ઉઠાવશો ? આવો, આત્મસન્માન સાથે હાથ મીલાવીએ અને ગોપીનાથ મુંડે પાથર્ડી તાલુકા વિકાસ મોરચાની સ્થાપના કરીએ.આપણે આ મોરચાના માધ્યમથી આવનારી દરેક ચૂંટણી લડશું અને મુંડે નામમાં શું તાકાત છે તે ભાજપને બતાવી દેશું.’
ચર્ચા છે કે જો કાર્યકરોના દબાણમાં પંકજાએ ભાજપ છોડવાનો નિર્ણય લીધો તો શું તે અલગ પક્ષ બનાવશે કે પછી શિવસેનામાં ચાલ્યા જશે.જો કે પંકાજએ પોતાના પ્રારંભીક નિવેદનોમાં આવો કોઈ જ સંકેત આપ્યો નથી.જાણકારો બતાવે છે કે ગોપીનાથ અને ઠાકરે પરિવારના સંબંધો હંમેશાથી ઘનિષ્ઠ રહ્યા છે.દૂર્ઘટનામાં ગોપીનાથના મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર સમયે જ ઉદ્ધવ ઠાકરે પંકજાને વાયદો કરી ચૂક્યા છે કે તેઓ દરેક સંકટમાં મોટો ભાઈ બનીને તેનો સાથ આપશે.
સાંસદ પ્રીતમ મુંડેને કેન્દ્રમાં મંત્રીપદ નહીં મળવાથી નારાજ તેના સમર્થકો ધડાધડ રાજીનામા આપવા લાગ્યા છે.મરાઠાવાડા,અહમદનગર,પૂણે,મુંબઈમાં અત્યાર સુધી સેંકડો કાર્યકરો ભાજપના પદ ઉપરથી રાજીનામું આપી ચૂક્યા છે.મુંડે સમર્થકોની નરાજગી એ વાતને લઈને વધુ છે કે રાજ્યના રાજકારણમાં પંકજાને સાઈડલાઈન કરવામાં આવી છે અને હવે જ્યારે કેન્દ્રમાં મંત્રીપદ આપવાનો વારો આવ્યો તો પ્રીતમની જગ્યાએ ડો.ભાગવત કરાડને મંત્રી બનાવવામાં આવ્યા છે.
ડો.કરાડને રાજકારણમાં લાવવા અને સ્થાપિત કરવાનો શ્રેય ગોપીનાથ મુંડેને જ જાય છે.રાજકીય જાણકારોનું કહેવું છે કે ઓબીસી સમાજની નારાજગી આવનારી ચૂંટણીઓમાં ભાજપને મોંઘી પડી શકે છે.દરમિયાન આજે તમામને નજર પંકજા અને તેમના સમર્થકો વચ્ચે મળનારી બેઠક ઉપર ટકેલી છે.