મુંબઇ : મહારાષ્ટ્રમાં ૨૪ વર્ષ બાદ પહેલીવાર આવતીકાલે રાજ્યસભા ચૂંટણી માટે મતદાન થશે.છ બેઠકો માટે સાત ઉમેદવારો મેદાનમાં હોવાથી ચૂંટણીની નોબત આવી છે.ભાજપ અને શિવસેના બંને એક વધારાની બેઠક જીતવા માટે આમનેસામને આવી ગયાં છે.અન્ય પક્ષો તથા અપક્ષોના એક એક ધારાસભ્યનો ટેકો મેળવવા માટે બંને પક્ષોએ આખરીક્ષણ સુધી જોર લગાવ્યું હતું.
રાજ્યસભા ચૂંટણી પૂર્વે એક તરફ દેવેન્દ્ર ફડણવીસી કોરોનાથી મુક્ત થતાં ભાજપ છાવણીમાં રાહત છવાઈ હતી.બીજી તરફ એનસીપીના નવાબ મલિક અને અનિલ દેશમુખ બંનેને સ્થાનિક અદાલતે મતદાન માટે એક દિવસના જામીન નહીં આપતાં મહાઆઘાડી છાવણીને ફટકો પડયો હતો.જોકે,હવે બોમ્બે હાઈકોર્ટના આવતીકાલના ચુકાદાની રાહ જોવાઈ રહી છે.જો આ બંને નેતાઓ મતદાન નહીં કરી શકે તો વિજય માટે જરુરી મત સંખ્યા ૪૨થી ઘટીને ૪૧ થઈ જશે.ભાજપ તરફથી કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તો મહાઆઘાડી તરફથી ખુદ શરદ પવાર અને સીએમ ઉદ્ધવ ઠાકરે તથા કોંગ્રેસના મલ્લિકાર્જુન ખડગે ચૂંટણીનો દોર સંભાળી રહ્યા છે.આઘાડી તથા ભાજપે પોતપોતાના સમર્થકોને ફાઈવ સ્ટાર હોટલમાં કેદ કર્યા છે.ત્યાથી સીધા આવતીકાલે વિધાનભવન મતદાન માટે લઈ જવાશે.સવારે ૯થી ૪ દરમિયાન મતદાન યોજાશે.