મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યો દ્વારા બળવાને પગલે લઘુૂમતીમાં મુકાઈ ગયેલી ઉદ્ધવ ઠાકરેના વડપણ હેઠળની મહાવિકાસ આઘાડી સરકારને ફ્લોર ટેસ્ટનો સામનો કરવા રાજ્યપાલે આપેલા આદેશ પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઈનકાર કરી દીધા બાદ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ બુધવારે રાતે જ એક જાહેર પ્રવચન સાથે રાજીનામું ધરી દીધું હતું.આ સાથે જ ૩૧ મહિના જૂની શિવસેના-એનસીપી અને કોંગ્રેસની થ્રી વ્હીલર સરકારનો અંત આવ્યો હતો અને હવે બળવાખોરોના ટેકા સાથે દેવેન્દ્ર ફડણવીસના વડપણ હેઠળ ભાજપની વૈકલ્પિક સરકાર રચવાનો માર્ગ મોકળો બન્યો છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેએ પોતાની સાથે ૫૦થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ સરકાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટમાં પરાસ્ત થશે એ નિશ્ચિત બની ગયું હતું.જોકે,ફ્લોર ટેસ્ટનો સામનો કરવાને બદલે ઉદ્ધવે રાજીનામું આપી ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનું ટાળ્યું હતું.
એકનાથ શિંદેના વડપણ હેઠળ શિવસેનાના બળવાખોરોએ ઉદ્ધવ સરકાર સામે ગઈ તા.૨૧મીએ બંડ પોકારતાં સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. ઉદ્ધવ સરકારે આ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા ડેપ્યૂટી સ્પીકર મારફતે નોટિસો અપાવી હતી પરંતુ આ પ્રક્રિયાને પણ સુપ્રીમ કોર્ટે અગાઉ અટકાવી દીધી હતી.તે પછી ભાજપના એક પ્રતિનિધિમંડળે ગઈકાલે રાતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી રાજ્ય સરકાર લઘુમતીમાં આવી ગઈ હોવાની રજૂઆત કરતાં રાજ્યપાલે તા.૩૦મીએ વિશ્વાસ મત લેવા હુકમ કર્યો હતો.આ આદેશને ઉદ્ધવ સરકાર દ્વારા સુપ્રીમમાં પડકારવામાં આવ્યો હતો.તેના પર સ્ટે આપવા સુપ્રીમ કોર્ટે ઈનકાર કર્યા બાદ ફ્લોર ટેસ્ટનો સામનો કરવાને બદલે ઉદ્ધવે હોદ્દો છોડી દીધો હતો.
રાતે ૯.૩૦ કલાકે ઉદ્ધવે એક પ્રવચન સાથે ઉદ્ધવે રાજીનામાંની જાહેરાત કરી હતી.તે પછી તેઓ રાજભવન તરફ હંકારી ગયા હતા અને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળીને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું.ઉદ્ધવનુ પ્રવચનઃ મને સત્તાની લાલસા નથી,જે હોય એ ભોગવે
વિદાય લેતા મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ રાજીનામાંની જાહેરાત કરતાં પ્રવચનમાં કહ્યું હતું કે મને સત્તાની લેશમાત્ર લાલસા નથી.જેમને તેનો મોહ છે તે ભોગવે.હું રાજીનામું આપું છું તો હવે એ નિમિત્તે જેને મીઠાઈ વહેંચવી હોય તે મીઠાઈ વહેંચી શકે છે.ઉદ્ધવના પ્રવચનના મુખ્ય મુદ્દા આ પ્રમાણે છે.હું મુખ્યપ્રધાનપદની સાથે વિધાન પરિષદનું સભ્ય પદ પણ છોડું છું.હું ક્યાંય જવાનો નથી.હું શિવસેના ભવનમાં જ બેસીશ અને યુવક-યુવતીઓ તથા શિવસેના પ્રત્યે જેમને હમદર્દી છે તેમને સાથે લઈને નવા જોશ સાથે શિવસેના ઊભી કરીશ.મેં હિંદુત્વ છોડયું નથી.હિંદુત્વ માટેનું મારું પ્રણ યથાવત છે.
શિવસેનાના ૫૬ વર્ષના ઈતિહાસમાં બાળા સાહેબ ઠાકરેએ સમાજના બહુ સામાન્ય અને નાના માણસો,રીક્ષાવાળા,ચા વાળા,હાથભઠ્ઠીવાળાને ઊંચે લાવ્યા,મોટા બનાવ્યા અને જ્યારે આ લોકો ટોચ પર પહોંચ્યા ત્યારે તેમણે જ બાળા સાહેબના પુત્રને સત્તા પરથી નીચે પાડવાનું પાપ કર્યું ંછે.મને લાગે છે કે ત્રણ પક્ષોએ મળીને જે શાસન ચલાવ્યું તેને કોઈની બૂરી નજર લાગી છે.