નવી દિલ્હી,તા.3.ફેબ્રુઆરી : ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ છે કે,આઈપીએલ 2022ની લીગ મેચો મહારાષ્ટ્રમાં રમાશે તેમજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્લેઓફ મેચો રમાડવામાં આવે તેવી શક્યતા.જોકે આઈપીએલ માટે હજી સુધી વેન્યૂ નક્કી કરવામાં આવ્યા નથી પણ આ વખતે આઈપીએલ ભારતમાં જ રમાડવામાં આવે તેવી શક્યતા છે.
એક સ્પોર્ટસ ચેનલ સાથે ઈન્ટરવ્યૂમાં ગાંગુલીએ કહ્યુ હતુ કે,આઈપીએલ-2022ની લીગ મેચો મુંબઈ,નવી મુંબઈ અને પૂણેના મેદાનોમાં રમાડાશે.જ્યારે પ્લેઓફ મેચો માટે વેન્યૂ નક્કી નથી થયા પણ આ રેસમાં અમદાવાદ સૌથી આગળ છે.
ગાંગુલીએ કહ્યુ હતુ કે, આ વર્ષે ભારતમાં જ આઈપીએલ રમાડવામાં આવશે અને કોરોનાના કેસ વધતા નથી તો ભારતમાં મેચો યોજાશે.મહારાષ્ટ્રમાં લીગ મેચો રમાડવા માટે અમે વિચારી રહ્યા છે અને પ્લે ઓફ મેચો માટે વેન્યૂ આગામી દિવસોમાં નક્કી કરીશું.
આઈપીએલ 2020 અને 2021 યુએઈમાં યોજાઈ હતી.જોકે ભારતીય ક્રિકેટ બોર્ડ આઈપીએલનુ આયોજન હવે ત્યાં કરવા માટે ઉત્સુક એટલા માટે નથી કે,સાંજની મેચોમાં ત્યાંના મેદાનો પર ઝાકળ બહુ પડે છે અને તેના કારણે ટોસનુ મહત્વ વધી જાય છે.ટી-20 વર્લ્ડકપમાં પણ ટોસ જીતનાર ટીમો જ મોટાભાગની મેચો જીતી હતી.
ભારતીય બોર્ડ પ્લાન બીના ભાગરુપે જો ભારતમાં આઈપીએલ ના યોજી શકાય તો દક્ષિણ આફ્રિકામાં આયોજન કરવા માટે વિચારી રહ્યુ છે.આ પહેલા આઈપીએલની એક સિઝન સાઉથ આફ્રિકામાં રમાઈ હતી.સાઉથ આફ્રિકા આઈપીએલની યજમાની કરવા માટે ઉત્સુક પણ છે.


