મુંબઈ : મહારાષ્ટ્રમાં વીતેલા મહિનામાં થેયેલી રાજકીય ઉથલપાથલ અંગે વિવિધ તબક્કે થયેલી અરજીઓની સુનાવણી સુપ્રીમ કોર્ટમાં આજે યોજાવાની હતી પરંતુ સુપ્રીમ કોર્ટે આ અરજીઓને લિસ્ટ ન કરતાં સુનાવણી ટળી હતી.જોકે,હવે આ સુનાવણી આગળ ના ધપે ત્યાં સુધી મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરને વ્હીપ ભંગના કિસ્સામાં કોઈ ધારાસભ્યને ગેરલાયક નહીં ઠેરવવા જણાવાયું છે.
આ નિર્ણયથી શિંદે જૂથ દ્વારા ઉદ્ધવ જૂથના ધારાસભ્યો સામે કરાયેલી કરાયેલી અરજીની કાર્યવાહી પણ ટળશે.સુપ્રીમે આ મામલાઓની સુનાવણી માટે બંધારણીય બેન્ચ દ્વારા સુનાવણી યોજવાનું ઠેરવ્યું છે.સુપ્રીમ કોર્ટ સુનાવણી કરે નહીં ત્યા સુધી શિવસેનાના બળવાખોર વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવતી અરજી પર કોઈ પગલાં નહીં લેવાનો મહારાષ્ટ્ર વિધાનસભાના નવા સ્પીકર રાહુલ નાર્વેકરને સર્વોચ્ચ અદાલતે આદેશ આપ્યો છે.મુખ્ય ન્યાયમૂર્તિ એન.વી.રામનાની બેન્ચે મહારાષ્ટ્ર રાજ્યપાલ વતી સોલિસિટર જનરલ(એસજી)તુષાર મહેતાને જણાવ્યું છે કે આ પ્રકરણ હાલ કોઈ પગલાં લેવા નહીં એમ સ્પીકરને જાણ કરવામાં આવે.ઠાકરે અને શિંદે જૂથે હરીફ જૂથના સભ્યોને ગેરલાયક ઠેરવવાની અરજીઓ કરી છે.
૨૭ જૂને વેકેશન બેન્ચે ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાળેએ બળવાખોર વિધાનસભ્યોને અપાયેલી નોટિસનો જવાબ નોંધાવવાની મુદત ૧૨ જુલાઈ સુધી લંબાવી આપી હતી.કોર્ટે રાજકીય કટોકટી અંગેની અન્ય અરજીઓની સુનાવણી પણ ૧૧ જુલાઈ પર રાખવામાં આવી હતી.જોકે આ પ્રકરણ લિસ્ટ નહીં થતાં વરિષ્ઠ વકિલ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયમૂર્તિ સમક્ષ આ બાબત રજૂ કરીને તાકીદની લિસ્ટિંગ માગી હતી.
જોકે કોર્ટે જણાવ્યું હતું કે આ અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેન્ચ રચવાની જૂરુર છે અને તેમાં સમય લાગી શકે છે.તેને પગલે સિબ્બલે જણાવ્યું હતું કે જ્યાં સુધી સુનાવણી ના થાય ત્યાં સુધી ધારાસભ્યો સામે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી ન થવી જોઈએ.સિબ્બલે કહ્યું હતું કે અદાલતે અગાઉ બળવાખોર ધારાસભ્યોને પણ રાહત આપી હતી.તેવી જ રાહત શિંદે જૂથ દ્વારા થયેલી અરજીઓના સંદર્ભમાં ઉદ્ધવ જૂથને મળવી જોઈએ.
કોર્ટે સોલિસિટર જનરલને સ્પીકરને આવી કોઈ કાર્યવાહી આગળ નહીં વધારવા જણાવ્યું હતું.સોલિસિટર જનરલે કહ્યું હતું કે પોતે રાજ્યના રાજ્યપાલ વતી ઉપસ્થિત થયા છે પરંતુ કોર્ટનો નિર્દેશ તેમના મારફતે સ્પીકરને પહોંચાડી દેવાશે.સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચની રચના કરે અને આ અરજીઓ તેની સમક્ષ લિસ્ટ કરે તે પછી સુનાવણી આગળ ધપશે.


