મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરેની સરકાર સામે જોખમ ઊભું થઈ ગયું છે.રાજ્યના મંત્રી અને સિનિયર નેતા એકનાથ શિંદે શિવસેનાના 20 ધારાસભ્ય લઈને ગુજરાતના સુરત પહોંચી ગયા છે.હાલ મહારાષ્ટ્રથી દિલ્હી સુધી હલચલ શરૂ થઈ ગઈ છે.આ દરમિયાન સંજય રાઉતે નિવેદન આપ્યું છે કે મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકાર પાડવામાં ગુજરાતના સી.આર.પાટીલનું જ ષડયંત્ર છે.સુરતમાં શિવસેનાના બળવાખોર નેતાઓને રહેવા માટેની વ્યવસ્થા પણ સીઆર પાટીલે જ કરી છે.
સંજય રાઉતે બીજું શું કહ્યું ?
– આ બહુ મોટું ષડયંત્ર છે. કેટલાક ધારાસભ્યો મુંબઈમાં નથી.
– શિવસેના ઈમાનદારોની સેના છે.
– ભાજપ સમજતો નથી કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતાં અલગ છે.
– એકનાથ શિંદે અને કેટલાક ધાસાસભ્યોનો સંપર્ક કરી શકાતો નથી.
– મને જાણવા મળ્યું છે કે કેટલાક ધારાસભ્યો સુરતમાં છે અને તેમને બહાર નીકળવા દેવાતા નથી.
– મને આશા છે કે તેઓ તમામ ધારાસભ્યો પરત ફરશે, કારણ કે તેઓ શિવસેનાને વરેલા છે.
સંજય રાઉતે કહ્યું હતું કે એકનાથ શિંદે સાથે હાલ જ વાત થઈ છે.
– અમને નથી લાગતું કે મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ આવશે: સંજય રાઉત
શિવસેનાના રાજ્યસભાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે આ દરમિયાન કહ્યું હતું કે ડરવાની કોઈ વાત નથી.અમુક ધારાસભ્યો મુંબઈમાં નથી અને તેમનો સંપર્ક નથી થઈ શક્યો.એકનાથ શિંદેનો પણ સંપર્ક થઈ શકતો નથી,પરંતુ અમને નથી લાગતું તે મહારાષ્ટ્રમાં કોઈ ભૂકંપ આવશે.અત્યારે અમે વર્ષા બંગલો જઈ રહ્યા છીએ.સીએમ ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર સાથે મારી વાત થઈ છે.મહારાષ્ટ્રમાં રાજસ્થાન અને એમપીની પેટર્ન શરૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પહેલા રાઉત રાષ્ટ્રપતિ ચૂંટણી માટે વિપક્ષની મીટિંગમાં ભાગ લેવા દિલ્હી જવાના હતા,પરંતુ હવે તેઓ દિલ્હી જવાના નથી.એવું માનવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ચાલી રહેલા સંકટના કારણે હવે તેઓ રણનીતિ બનાવવા ભેગા થશે.આ દરમિયાન શરદ પવાર પણ મુંબઈ પરત આવી રહ્યા છે.
રાજ્યની મહાવિકાસ આઘાડી સરકારને એને કારણે ખૂબ મોટો ઝટકો લાગ્યો છે.પહેલી ચૂંટણીમાં MVAમાં માત્ર 5 ઉમેદવાર જીતીને આવ્યા હતા.હવે શિવસેનાના સિનિયર નેતા અને મંત્રી એકનાથ શિંદે બળવાખોર બન્યા છે.તેઓ પાર્ટીના અંદાજે 20 ધારાસભ્ય લઈને સુરત પહોંચી ગયા છે.બપોરે 2 વાગે શિંદે મહત્ત્વની પ્રેસ-કોન્ફરન્સ કરવાના છે.હવે જોવાનું એ છે કે આજે ઉદ્ધવ ઠાકરેની સરકાર બચે છે કે પડે છે.
બીજી બાજુ, સીએમ ઉદ્ધવ ઠાકરે પણ એક્શન મોડમાં છે.તેમણે બપોરે 12 વાગે ગઠબંધનની બેઠક બોલાવી છે.આ દરમિયાન કોંગ્રેસે પણ તેમના ધારાસભ્યો દિલ્હી બોલાવી લીધા છે.
નોંધનીય છે કે કાલે MLC ચૂંટણીમાં શિવસેનાના અમુક ધારાસભ્યોએ ક્રોસ વોટ કર્યું છે એને કારણે પણ પાર્ટીને નુકસાન થયું છે.
કયા કયા ધારાસભ્યો સંપર્કવિહોણા?
1.એકનાથ શિંદે – કોપારી 2. અબ્દુલ સત્તાર – સિલ્લોડ – ઔરંગાબાદ 3. શંભુરાજ દેસાઈ – સતારા 4. સંદીપાન ભૂમરે – પૈઠણ – ઔરંગાબાદ 5. ઉદયશસહ રાજપૂત – કન્નડ- ઔરંગાબાદ 6. ભરત ગોગાવલે – મહાડ – રાયગઢ 7. નીતિન દેશમુખ – બાળાપુર – અકોલા 8. અનિલ બાબર – ખાનાપુર – આટપાડી – સાંગલી 9. વિશ્વનાથ ભોઇર – ~કલ્યાણ પશ્ચિમ 10. સંજય ગાયકવાડ – બુલઢાણા 11. સંજય રામુલકર – મેહકર 12. મહેશ શિંદે – કોરેગાંવ – સતારા 13. શહાજી પાટીલ – સાંગોલા – સોલાપુર 14. પ્રકાશ અબિટકર – રાધાપુરી – કોલ્હાપુર 15. સંજય રાઠોડ – દિગ્રસ – યવતમાળ 16. જ્ઞાનરાજ ચૌગુલે -ઉમરગાસ – ઉસ્માનાબાદ 17. તાનાજી સાવંત – પરોડા – ઉસ્માનાબાદ 18. સંજય શિરસાટ – ઔરંગાબાદ પશ્ચિમ 19. રમેશ બોરનારે – બૈજાપુર – ઔરંગાબાદ
દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી રવાના
મહારાષ્ટ્રની રાજનીતિમાં બદલાતા ઘટનાક્રમ દરમિયાન પૂર્વ સીએમ અને નેતા વિપક્ષ દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી માટે રવાના થયા છે.માનવામાં આવે છે કે અહીં તેઓ બીજેપીના સિનિયર નેતાઓ સાથે મુલાકાત કરશે અને હાલની સ્થિતિ પર ચર્ચા-વિચારણા કરશે. જો એકનાથ શિંદે સાથે આવેલા શિવસેનાના ધારાસભ્યો બીજેપીને સમર્થન આપશે તો ઉદ્ધવ સરકાર માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે.નોંધનીય છે કે રાજ્યસભા ચૂંટણી પછી એમએલસી ચૂંટણીમાં ફડણવીસને જ જીતના શિલ્પકાર માનવામાં આવે છે. એમએલસી ચૂંટણીમાં સંખ્યાબળ ના હોવા છતાં બીજેપીએ તેમના પાંચમા ઉમેદવારને જીત અપાવવામાં સફળતા મળી હતી.
રાજકીય ઊથલપાથલનાં એંધાણ
મહારાષ્ટ્રની વિધાન પરિષદની ચૂંટણી બાદ શિવસેનામાં નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે.અસંતુષ્ટ ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા હોવાની ગઈકાલથી ચર્ચા ચાલી રહી હતી. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે સુરતની ડુમ્મસ મેરિડિયન હોટલ ખાતે 20 થી વધારે નારાજ શિવસેનાના ધારાસભ્ય એકનાથ શિંદેની આગેવાનીમાં સુરત આવી પહોંચ્યા છે.રાજકીય રીતે કોઈ મોટી ઊથલપાથલ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યાં છે.


