– તાજ મહેલ પરિસરમાં જુમ્માની નમાજ, ઉર્સ સિવાયની ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ છે
નવી દિલ્હી, તા. 11 માર્ચ : મહાશિવરાત્રીના અવસર પર આગ્રાના તાજ મહેલમાં શિવપૂજા કરવા પહોંચેલા હિંદુવાદી સંગઠનના મહિલા પદાધિકારી અને બે કાર્યકરોને કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે (CISF) ઝડપી લીધા હતા.ત્યાર બાદ ત્રણેયને પોલીસને હવાલે કરી દેવામાં આવ્યા હતા અને પોલીસ દ્વારા તેમની પુછપરછ કરવામાં આવી હતી.
હિંદુવાદી સંગઠને મહાશિવરાત્રીના અવસર પર ગુરૂવારની સવારે તાજ મહેલને તેજો મહાલય માનીને આરાધના કરી હતી.હિંદુ મહાસભાના પ્રાંતીય અધ્યક્ષ મીના દિવાકર સેન્ટ્રલ ટેન્ક પાસેની ડાયના બેન્ચ પર વિધિ-વિધાનપૂર્વક આરતી કરવા લાગ્યા હતા અને તે સમયે CISF દ્વારા તેમને પકડી લેવામાં આવ્યા હતા.મીના દિવાકરની સાથે બે અન્ય કાર્યકરોને પણ પકડી લેવામાં આવ્યા હતા. CISFએ ત્રણેયને પોલીસને હવાલે કરી દીધા હતા.પોલીસે તેમને તાજગંજ થાણામાં કસ્ટડીમાં લીધા હતા.આ અંગેની સૂચના મળતા જ હિંદુ મહાસભાના રાષ્ટ્રીય પ્રવક્તા સંજય જાટ અને જિલ્લા અધ્યક્ષ રોનક ઠાકુર સહિતના કાર્યકરો તાજગંજ થાણે પહોંચી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, તાજ મહેલમાં શાહજહાંની ત્રણ દિવસીય ઉર્સ ચાલી રહી છે.નિયમાનુસાર તાજ મહેલમાં પરંપરાગત જુમ્માની નમાજ અને શાહજહાંના ઉર્સ સિવાયની અન્ય કોઈ ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ છે.જો કે તેમ છતાં થોડા દિવસો પહેલા તાજ મહેલ પરિસરમાં એક સંગઠને હનુમાન ચાલીસાનું પઠન કર્યું હતું.