મહેસાણા : મહેસાણા જિલ્લામાં હયાત પિવાના પાણીની વ્યવસ્થાને વધુ સુદૃઢ કરવા માટે જિલ્લામાં પાણી પુરવઠાની રૂ.૨૮૭ કરોડના ખર્ચે બનનારી વિવિધ યોજનાઓનું ખાતમુહૂર્ત મંગળવારે સવારે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાની હાજરીમાં કરાવાનું હોઈ તંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ૫૪ ગામો તેમજ મહેસાણા,વિસનગર અને ઊંઝા શહેર માટે નર્મદા મુખ્ય નહેર આધારિત રૂ.૭૮.૯૪ કરોડની ભાગ-૧ યોજના, રૂ.૮૦.૨૬ કરોડની ભાગ-૨ અને રૂ.૭૧.૫૩ કરોડની ભાગ-૩ યોજના ઉપરાંત વડનગર અને ખેરાલુ તાલુકાના ૯૦ ગામો અને ખેરાલુ તેમજ વડનગર શહેરની રૂ.૩૯.૪૨ કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ સિવાય સતલાસણા તાલુકાના ૭૦ ગામો માટે રૂ.૯.૨૫ કરોડની ધરોઈ જૂથ સુધારણા યોજના અને બહુચરાજી નગર માટે રૂ.૭.૨૦ કરોડના ૩ એમએલડી ક્ષમતાના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાશે. આમ જિલ્લાની કુલ ૬ યોજનાઓનું અંદાજીત રૂ.૨૮૭ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાશે. જેમાં સ્થાનિક સાંસદો અને ધારાસભ્યો સહિત જોડાશે. મંગળવારે ધોબીઘાટ રોડ પર રામદેવ વાટિકામાં યોજાનારા આ કાર્યક્રમની તૈયારીઓ માટે પાણી પુરવઠા વિભાગ,નગરપાલિકા સહિત તંત્ર કામે લાગ્યું હતું તો સુરક્ષા બંદોબસ્તની પણ તૈયારીઓ પૂર્ણ કરાઈ હતી.
મહેસાણા શહેર માટે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનશે
આ યોજનામાં મહેસાણા શહેર માટે નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામનો પણ સમાવેશ કરાયેલો છે. નાગલપુર વૃદ્ધાશ્રમ નજીક ૨૦ એમએલડી ક્ષમતાનો આ પ્લાન્ટ બનશે.જેમાં મોઢેરા હેડ વર્ક્સથી નર્મદાનું રો-વોટર કમાલપુર આવશે અને ત્યાંથી આ પ્લાન્ટમાં આવશે. શહેરમાં હાલમાં ૩૩ એમએલડી નર્મદાનું પાણી ઉપલબ્ધ છે અને વધુ ૨૦ એમએલડી પાણી આવતાં માનવઆશ્રમ ઓજી વિસ્તાર,નાગલપુર સહિત મહેસાણા શહેરના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોમાં નર્મદાનું પાણી પૂરું પાડી શકાશે.