[weather_data]
Breaking News
TRENDING NEWS

મહેસાણામાં રેમડેસિવિર ઇન્જેકશનનાં કાળાંબજારનું કૌભાંડ : 7 જણાં ઝડપાયાં

[updated_date] [post_views]

Table of Content

મહેસાણા : કોરોના સંક્રમણ ભયાનક રીતે વકર્યું હોઈ દવાઓની પણ અછત સર્જાઈ છે ત્યારે કેટલાક લોકો સ્થિતિનો ગેરલાભ લઈ રેમડેસિવિર ઈન્જેક્શનનાં કાળાંબજાર કરી રહ્યા હોઈ પોલીસે આવાં તત્ત્વો સામે ધાંસ વધારી છે.મહેસાણા પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમે બાતમીના આધારે ડિકોય ગોઠવી મહેસાણામાં રેમડેસિવિર ઈન્જેક્શનનાં કાળાંબજાર કરતા ત્રણ શખ્સોને બે ઈન્જેક્શન સાથે ઝડપી લીધા હતા તેમજ આ કાળા કાબોબારમાં સંડોવાયેલા વધુ ચાર આરોપીઓને પણ પોલીસે ઝડપી લઈને સમગ્ર રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.

મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણના કેસનો સતત વધારો થઈ રહ્યો છે,ત્યારે કોરોનાના દર્દીઓની ગંભીર સ્થિતિમાં અક્સિર ઈલાજ સાબિત થઈ રહેલાં રેમડેસિવિર ઈન્જેક્શનની પણ માંગ વધી છે.પરંતુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ના હોવાથી સર્જાયેલી અછતના કારણે કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા આ ઈન્જેક્શનનાં કાળાંબજાર કરાતાં હોવાની ફરિયાદો ઉઠતાં પોલીસ મહાનિરીક્ષક અભય ચૂડાસમા અને મહેસાણા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે આવાં તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના આપતાં મહેસાણા એલસીબી પીઆઈ બી.એચ.રાઠોડના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્ક્વોર્ડના પીએસઆઈ ડી.એન.વાંઝા સહિત સ્ટાફે તે દિશામાં કામગીરી હાથ ધરી હતી.દરમિયાન મહેસાણા રાધનપુર ચોકડી નજીક દ્વારકેશ કોમ્પલેક્સમાં આવેલી નિધી મેડિકલના માલિક ગુંજન પટેલ તેના મળતીયા માણસોથી કાળાંબજારમાં રેમડેસિવિર ઈન્જેક્શન મંગાવી આપતો હોવાની બાતમી શનિવારે પીએસઆઈ ડી.એન.વાંઝાને મળી હતી.જેથી ગુંજન પટેલને હસ્તગત કરી પૂછપરછ કરતાં તેની પાસે ન હોવાનું જણાવ્યું હતું પરંતુ મળતીયા માણસો પાસેથી મંગાવી આપવાનું કહ્યું હતું.ગુંજને તેના મિત્ર નિતેશ હઢીયોલને ફોન કરતાં રૂ.૨૭ હજારના ભાવે રૂ.૮૧ હજારમાં ત્રણ ઈન્જેક્શન આપવા સહમત થયો હતો.જેથી પોલીસે ડિકોય ગોઠવી હતી.જે મુજબ બિલાડી બાગ પાસે ગુંજન પટેલ તથા પોલીસ સ્ટાફ ખાનગી કપડાં તથા ગાડીમાં બેસી વોચમાં હતા ત્યારે કાળા રંગનું જીજે-૨-સીઆર-૧૧૨૨ બાઈક લઈને આવેલા નિતેશે બે-ત્રણ કલાકમાં પાર્ટી ઈન્જેક્શન આપી જશે તેવી વાત ગુંજનને કરી હતી.

રાત્રે ૧૦-૩૦ વાગ્યે નિતેશે ગુંજનને ફોન કરીને અડધા કલાકમાં માણસ રેમડેસિવિર ઈન્જેક્શન આપી જશે તમે આંબેડકર પુલના છેડે સોમનાથ ચોકડીએ પહોંચો તેમ જણાવ્યું હતું.જેથી પીએસઆઈ ડી.એન.વાંઝા, એએસઆઈ કિરીટકુમાર,હેડ કોન્સ. હરેન્દ્રસિંહ,રાજેન્દ્રસિંહ,કોન્સ્ટેબલ સંજયકુમાર, મુકેશકુમાર, ડ્રા.હે.કો. કાન્તિભાઈ સહિત પોલીસ સ્ટાફ ગુંજનને લઈને ૧૦-૪૫ વાગ્યે સોમનાથ ચોકડી પહોંચ્યા હતા અને આજુબાજુમાં ગોઠવાઈ ગયા હતા.પચ્ચીસેક મિનીટ બાદ જીજે-૨-સીઆર-૧૧૨૨ નંબરના બાઈક પર આવેલા બે શખ્સોએ ગુંજન સાથે વાતચીત કરી થેલીમાંથી બે બોક્સ કાઢતાં પોલીસે તમામને ઝડપી લીધા હતા.ઝડપાયેલા નિતેશ હઢીયોલ તથા તેની સાથેનો માણસ ગુરૂપ્રિય (મકવાણા) સતીષ હતો અને તેમની પાસેની થેલીમાંથી રૂ.૩૪૦૦ની એમઆરપીવાળાં બે રેમડેસિવિર ઈન્જેક્શન મળી આવ્યાં હતાં. પોલીસે ઈન્જેક્શન, ત્રણ મોબાઈલ અને બાઈક મળી કુલ રૂ.૧,૩૬,૮૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પેરોલ ફર્લો સ્ક્વોર્ડે મુદ્દામાલ મહેસાણા એ ડિવિઝન પોલીસને સોંપી ઝડપાયેલા શખ્સો ગુંજન પ્રવિણભાઈ પટેલ (૨૦, શારદા સોસાયટી, એસટી વર્કશોપ રોડ, મહેસાણા),નિતેશકુમાર બળદેવભાઈ હઢીયોલ (વણકર) (૪૯, સોમેશ્વર કુંજ સોસાયટી, સોમનાથ રોડ, મહેસાણા) અને સતિષ જયંતીભાઈ કચરાભાઈ ગુરૂપ્રિય (મકવાણા) (૩૮, ગુરૂકૃપા સોસાયટી, પોલીસ હેડ ક્વાર્ટર પાસે, મહેસાણા) વિરુદ્ધ રેમડેસિવિર ઈન્જેક્શન ગેરકાયદે પોતાના કબજામાં રાખી,પ્રિન્ટેડ કિંમત કરતાં વધુ કિંમત વસુલ કરીને લોકો સાથે ઠગાઈ સહિત મુદ્દે જાહેરનામા ભંગ, એસેન્સીયલ કોમોડીટી એક્ટની કલમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્સની કલમ વગેરે હેઠળ ગુનો નોંધાવ્યો હતો અને PSI પી.એન.ધાંધલ્યાએ તપાસ હાથ ધરી હતી.

વધુ ચાર આરોપીઓની સંડોવણી ખુલતાં તેમની અટક કરાઈ

પોલીસ તપાસમાં કોમલ ગણપતભાઈ સુતરીયા (૩૯, તુલસીપાર્ક સોસાયટી, વિસનગર ફાટક પાસે, મહેસાણા), રાહુલપુરી બાબુપુરી ગોસ્વામી (૬, લક્ષ્‍મીકુંજ સોસાયટી, જૂના ગાયત્રી મંદિર રોડ, મહેસાણા), ગોવિંદભાઈ શિવાજી ઠાકોર (પનાર, તા.દેત્રોજ, જિ.અમદાવાદ, હાલ રહે.વોટરપાર્ક હોસ્ટેલ) અને હિતેષ સુરેન્દ્રભાઈ પરાસર (નિધિ એપાર્ટમેન્ટ, માલગોડાઉન રોડ, મહેસાણા)ની સંડોવણી પણ આ કેસમાં ખુલી હતી.જેથી પોલીસે તેમની પણ અટક કરી આગળની તપાસ હાથ ધરી છે.

તકસાધુ લાલચી તત્ત્વો સામે ફિટકાર

મહેસાણા સહિત રાજ્યભરમાં રોજેરોજ મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે,સારવાર માટે હોસ્પિટલોમાં પણ જગ્યા નથી,ઓક્સિજન અને દવાઓની પણ અછત જોવા મળી રહી છે ત્યારે સમાજના મોટાભાગના લોકો વિનામૂલ્યે મદદ-સેવા કરી રહ્યા છે.આવા સમયે કેટલાંક તક સાધુ લાલચી તત્ત્વો રેમડેસિવિર ઈન્જેક્શન વગેરેની કાળાંબજારી કરી આ મુશ્કેલીના સમયમાં દર્દીઓના પરિવારજનોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યા છે.કેટલાક લોકો તો બનાવટી ઈન્જેક્શન બનાવી તેનો કારોબાર કરી અસંખ્ય લોકોની જીંદગી પણ દાવ પર લગાવી રહ્યા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.ત્યારે આવાં તકસાધુ લાલચી તત્ત્વો સામે ફિટકાર વરસી રહ્યો છે.

સતિષ પાસે ઈન્જેક્શન ક્યાંથી આવ્યાં?

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સતિષને વિસનગરની ક્રિષ્ણા હોસ્પિટલમાં મેડિક્લેમનું કામ કરતી યુવતી કોમલે ઈન્જેક્શન આપ્યાં હતાં,કોમલે આ ઈન્જેક્શન સાયબર કાફે ચલાવતા રાહુલ ગોસ્વામી પાસેથી મેળવ્યાં હતાં.રાહુલને શંકુલ મેડિસીટીના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ગોવિંદ ઠાકોરે ઈન્જેક્શન આપ્યાં હતાં.આમ આખી ચેઈન પોલીસ તપાસમાં ખુલી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles