– અગાઉ લેવાયેલા તમામ 41 શંકાસ્પદ નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં
મહેસાણા,
મહેસાણા જિલ્લામાં કોરોના સંક્રમણ અંગેના શંકાસ્પદોને સારવાર માટે ખસેડી નમુના લેવાની કામગીરી અંતર્ગત અગાઉ જિલ્લામાંથી લેવાયેલા કુલ ૪૧ નમૂનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, ત્યારે સોમવારે વિસનગર તાલુકાના એક નવ વર્ષના બાળક સહિત વધુ ૧૦ શંકાસ્પદોના નમૂના લઈને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં કુલ ૫૧ કોરોના શંકાસ્પદ દર્દીઓના નમુના લેવામાં આવ્યા છે, જે અંતર્ગત અગાઉ લેવાયેલા ૪૧ નમૂનાનું પરીણામ નેગેટિવ આવ્યું છે.
જ્યારે સોમવારે સાંઈક્રિષ્ણા હોસ્પિટલમાંથી ન્યુમોનિયાની અસરવાળા વિસનગર તાલુકાના નવ વર્ષના બાળકનું સેમ્પલ અને વડનગરની GMERS મેડિકલ કોલેજમાંથી ૯ વ્યક્તિના મળીને કુલ ૧૦ શંકાસ્પદ દર્દીઓના નમૂના લેવાયા હતા, જેનો રિપોર્ટ આવવાનો બાકી છે. અત્યાર સુધી જિલ્લામાં કુલ ૨૩ નમૂના સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં, ૨૫ વડનગરની જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજમાં અને ૩ નૂતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવાયા છે. હાલમાં ૨૩ લોકો ગવર્મેન્ટ ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં અને ૧૭ લોકો પ્રાઇવેટ ક્વોરેન્ટાઇન ફેસિલિટીમાં છે. જિલ્લામાં અસરગ્રસ્ત રાજ્યમાંથી ૩,૬૨૪ લોકો અને અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી ૪૦,૩૦૮ લોકો આવેલા છે. જે તમામની તબીબી તપાસ પૂર્ણ કરાઈ છે.